Sunday, June 15, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUશું ઘર આંગણામાં તુલસી એ માત્ર અંધશ્રદ્ધા જ છે?

શું ઘર આંગણામાં તુલસી એ માત્ર અંધશ્રદ્ધા જ છે?

ભૌતિકતાના આવરણ નીચે વિહરતો માનવ ક્યારેક પોતાના અસ્તિત્વની જરૂરિયાતોને વિસરી જાય છે. અને ક્યારે સ્વાર્થ માથા પર ચડી જાય ત્યારે તે કર્મના સિદ્ધાંતને કોરાણે મૂકી દે છે. પોતાના દરેક કર્મનો દોષ અન્યના માથે થોપી દેવાથી સિદ્ધાંત બદલાતા નથી. જો માણસ પોતાની જરૂરીયાતો અને ઇચ્છાઓની વચ્ચેનો ભેદ પણ સમજી શકે તો તેના જીવનમાં ઘણા બધા સકારાત્મક ફેરફાર આવી શકે છે. સકારાત્મક જીવન માટે સકારાત્મક જીવનશૈલી ખુબ જ જરૂરી છે. આવી જીવનશૈલી મળે છે આપણા ભારતીય સિધ્ધાંતો થકી.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મારા સાસુ હંમેશા એવો આગ્રહ રાખે છે કે ઘરના આંગણામાં તુલસી તો હોવા જ જોઈએ. તો એની પાછળનું કોઈ કારણ ખરું? કે પછી એ માત્ર અંધશ્રદ્ધા જ છે?

જવાબ: તમે ક્યારેય પાશ્ચાત્ય વિચારો સામે સવાલો ઉઠાવ્યા છે ખરા? જે કોઈ ભારતીય વિચારધારા ધરાવે છે એ અંધશ્રદ્ધા જ ધરાવે છે એવું ન માની લેવાય. કોઈ પણ ભારતીય શાસ્ત્રની પાછળ કોઈને કોઈ આધાર હોય જ છે. પહેરવેશની પ્રથાથી માંડીને પ્રસાદ અને પુજાના નિયમોમાં પણ વિજ્ઞાન જોવા મળે છે. તમે સવાલ પૂછ્યો એ ગમ્યું. જયારે સવાલ ઉદ્ભવે ત્યારે જ સાચી વાત સુધી પહોંચી શકાય. હવે વાત કરીએ તુલસીની. તુલસીએ એન્ટી ઓક્સીડન્ટ છોડ છે. તેને આંગણામાં લગાવવાથી ઘરમાં આવતા જતા વધારે ઓક્સીજન મળે છે. આ ઉપરાંત તેનું આયુર્વેદમાં પણ મહત્વ છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આમ એક વનસ્પતિ અનેક રીતે મદદરૂપ થાય છે. તેથી જ જે જરૂરી છે તેને આંગણામાં સ્થાન આપવું જોઈએ. આવા છોડ મિત્રની માફક નજીક હોય તો હંમેશા કામ લાગે.

સવાલ:  મને ખુબ ડર લાગે છે. એક પછી એક વ્યાધી આવતી જાય છે. મને આમ જોવા જઈએ તો કોઈ સમસ્યા નથી પણ વિવિધ રોગ, વાવાઝોડું અને આર્થિક સ્થિતિ બધુજ મને તકલીફ આપે છે. આ દુનિયાનું શું થશે? આમને આમ તો દુનિયા પૂરી થઈ જશે.  શું આનો કોઈ ઈલાજ ખરો?

જવાબ:  તમે અન્યની ચિંતા કરો છો એ ખુબ જ સારી બાબત છે. પણ અન્યની ખોટી ચિંતા કરી અને ડર્યા કરવું એ સારી બાબત નથી. સંવેદનશીલ હોવું જોઈએ. પણ ડરપોક નહિ. આપણે સહુ વરસોથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શું સમગ્ર વિશ્વ તકલીફમાં આવી ગયું. કોઈ પણ સમસ્યા કાયમી નથી. ખોટો ભય એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. આવા સમયે મન શાંત રાખવું ખુબ જરૂરી છે. આપણું મન શાંત હશે તો વિશ્વ પણ સારું જ લાગશે. આપના ઘરમાં બંને ત્રાંસા અક્ષ નકારાત્મક છે. તેથી આપને આવું લાગે છે. ઘરમાં દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરો. ઈશાનમાં તુલસી વાવી દો. શિવલિંગ પર દૂધ, પાણી, પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરો. ઘરમાં ગુગળ, ચંદનનો ધૂપ કરો. સવારે વહેલા ઉઠી અને સૂર્યને અર્ઘ્ય આપો. બેસતા મહીને કીડીયારું પૂરો. આ બધાના કારણે આપણે વધારે સારું લાગશે. ભારતીય શાસ્ત્રો માનવ જાતિને મદદ કરવા માટે રચાયા છે. તેથી તેની સાચી સમજણ જીવનને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થશે.

આજનું સુચન:  વૃક્ષો માત્ર ઓક્સિજન આપતા નથી. તે વતાવરણ માંથી કાર્બન ડાયોક્સાઈડ પણ ઓછો કરે છે. આમ તે વાતાવરણનું સંતુલન સાચવે છે. વૃક્ષો કપાતા રોકીએ. નવા વૃક્ષો વાવીએ.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો vastunirmaan@gmail.com)

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular