Friday, June 13, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUવાસ્તુ અને કર્મ એક બીજા સાથે જોડાયેલા છે

વાસ્તુ અને કર્મ એક બીજા સાથે જોડાયેલા છે

શિક્ષણનું ધામ વાસનાનું મુકામ ન બને એ સમાજની જવાબદારી છે. તો પણ વારે તહેવારે કોઈને કોઈ એવા સમાચાર આવે છે કે મન વિચલિત થઇ જાય. શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી માત્ર માર્કસના આધારે થાય એ કેટલું યોગ્ય ગણાય? શિક્ષકો આદર્શ હોવા જોઈએ. એમને જોઇને વિદ્યાર્થીઓ શીખે છે એ વાત માત્ર કાગળો પર ન રહે તેના માટે સમજ ઉભી થાય તે જરૂરી છે. શું માત્ર શારીરિક સ્પર્શ જ નકારાત્મક ગણાય? શબ્દો અને નજરની કોઈ અસર જ ન હોય? ક્યારેક વિદ્યાર્થીની ફરિયાદ દબાવી દેવામાં આવે કારણકે સંસ્થામાં નવા વિદ્યાર્થીઓ ન આવવાનો ભય હોય. પણ એવા પ્રિન્સીપાલ પણ શું કામના જે નકારાત્મકતાને છાવરી અને ખોટી વાતને સમર્થન આપે? જેને આપણે સરસ્વતીનું મંદિર ગણતા હતા એ જગ્યા સમયાંતરે વિવિધ વિચારધારા થી પ્રભાવિત થઇ અને ક્યાં પહોંચી ગયું છે એના પર પણ ક્યારેક નજર કરવી જરૂરી છે. જોકે દરેક વ્યક્તિકે સંસ્થા આવા નથી હોતા પણ જો સમયસર આ બાબતે ન વિચારાય તો એનો વ્યાપ તો વધતો દેખાય જ.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: હું એક વિદ્યાર્થી છુ. મારા ક્લાસ ટીચર મને બરાબર નથી લગતા. એ ક્યારેક બધાની વચ્ચે એવી વાત કરે કે જાણે અમારે બંનેને કોઈ સંબંધ છે. બે એક વખત એ ચાલતા જતા હતા તો મેં એમને લીફ્ટ આપી હતી એ સિવાય નવું કાઈ જ નથી. એક વાર એ પાણીની બોટલ ભૂલી ગયા હતા તો એમણે મારી બોટલ માંથી પાણી પીધું હતું. અને પછી બોલ્યા કે અમારે તો એક બીજાનું એંઠું ચાલે. મેં પ્રિન્સીપાલને ફરિયાદ કરી તો એ કહે છે કે સાહેબને ખરાબ લાગે એવો વ્યવહાર નહિ કરવાનો. બહુ એવું લાગતું હોય તો સંસ્થા છોડી દેવાની. હું ખુબ મહેનત કરીને ભણું છુ. પણ પેલા સાહેબ કોઈને કોઈ રીતે મને ખરાબ દેખાડવા પ્રયત્ન કરે છે. જો મારા ઘરે ખબર પડે તો એલોકો મને ભણવા નહિ દે. શું કરવું સમજાતું નથી.

જવાબ: સંસ્થાથી ઉપર કશુજ નથી એવી વાતને આવા લોકો ખોટી રીતે લઇ રહ્યા છે. આવા પ્રિન્સીપાલ અને આવા શિક્ષકોના કારણે જ સમાજની વિચારધારા નકારાત્મક બને એવું બને. એક શિક્ષકને ખસેડી દેવાથી જો સંસ્થાનું વાતાવરણ સુધરતું હોય તો પ્રિન્સિપાલે એવો નિર્ણય લેવો જોઈએ. તમે કહો છો એવું પણ બને કે પ્રિન્સીપાલ પણ આમાં ભળેલા હોય. અને એવું ન પણ હોય. જયારે અયોગ્ય વ્યક્તિના હાથમાં સુકાન આવી જાય ત્યારે ત્યારે આવું જ થાય. સર્વ પ્રથમ તો ટ્રસ્ટીને રજૂઆત કરો. તમારા સાહેબ ખરાબ મજાક કરે તો એમને બધાની વચ્ચે જ રોકો. જયારે એમણે એવું કહ્યું કે અમારે તો આવું ચાલે ત્યારે જ એમને કહી દેવાની જરૂર હતી કે મને એવું નથી ચાલતું. આવા લોકોને ભાવ કે સન્માન ન અપાય. તમારી કોલેજમાં નૈરુત્ય પશ્ચિમનું દ્વાર છે, ઈશાનમાં ટોઇલેટ છે અને બ્રહ્મનો દોષ છે. એ ઉપરાંત ઉત્તર અને દક્ષીણમાં પણ દોષ છે. આના કારણે મનોવિકૃતિ આવી શકે. તમે શિવલિંગ પર અભિષેક કરો. ગાયત્રી મંત્ર કરો. કોઈ એક મિત્રને સાથે રાખો જેથી પેલા શિક્ષક કે પ્રિન્સીપાલ બીજું કાઈ કરી ન શકે.

સવાબ: હું જ્યોતિષ જાણું છુ. બધાના મનમાં એવી ગેરમાન્યતા છે કે જ્યોતિષ જાણવા વાળાને વાસ્તુ પણ આવડે. હું જે સૂચનો આપું છુ એનાથી ફેર નથી પડતો. ક્યારેક એમાં નેગેટીવ પરિણામો પણ મળે છે. જેના કારણે મારી પ્રેક્ટીસ પર અસર પડી છે.

જવાબ: ના પાડતા શીખો. જ્યોતિષ અને વાસ્તુ બે અલગ વિષય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જે નવ ગ્રહની વાત કરી છે એમાં પૃથ્વી નથી. વાસ્તુમાં પૃથ્વીની વાત છે. આની સમજણ જરૂરી છે. લોકો તો કહે કે તમે વાસ્તુ જોઈ આપો. તમને જે નથી આવડતું એ કરવામાં તમે જે આવડે છે એના ક્લાયન્ટ પણ ખોઈ રહ્યા છો. એટલે જ એમને ના પાડો કે આ અલગ વિષય છે અને એના માટે અલગ અભ્યાસ ની જરૂર પડે.

આજનું સુચન: વાસ્તુ અને કર્મ એક બીજા સાથે જોડાયેલા છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular