‘ચિત્રલેખા’ યોજિત પરિસંવાદઃ ગાંધીધામમાં ઈન્વેસ્ટરોએ મેળવ્યું મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શન…

કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરની રેડિસન હોટેલ કંડલા ખાતે ૭ જાન્યુઆરી, રવિવારે આદિત્ય બિરલા કેપિટલ અને ‘ચિત્રલેખા’ દ્વારા આયોજિત મ્યુચ્યુઅલ ફંડ વિશેના માર્ગદર્શક પરિસંવાદમાં ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ફાઈનાન્સિયલ પ્લાનિંગ શા માટે ને કઈ રીતે? વિષય પર એમના નિષ્ણાત વિચારો રજૂ કર્યા હતા, તો આદિત્ય બિરલા કેપિટલના વેસ્ટર્ન ઝોન હેડ મનીષ ઠક્કરે મ્યુચ્યુઅલ ફંડના માર્ગે સંપત્તિ સર્જન કઈ રીતે? વિષય પર શ્રોતાઓ/ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપ્યું હતું. પરિસંવાદની આખરમાં સવાલ-જવાબ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મશરૂવાળા તથા ઠક્કરે શ્રોતાઓ/ઈન્વેસ્ટરોએ પૂછેલા સવાલોના માર્ગદર્શન સાથે જવાબ આપ્યા હતા. શ્રેષ્ઠ પાંચ સવાલને ઈનામ આપવામાં આવ્યા હતા. પરિસંવાદનું સંચાલન જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ કર્યું હતું. ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ પરિસંવાદમાં હાજર શ્રોતાઓ, ઈન્વેસ્ટરો અને વક્તાઓને આવકાર આપ્યો હતો તેમજ ‘ચિત્રલેખા’ દ્વારા આયોજિત આ પ્રકારના પરિસંવાદોની પશ્ચાદભૂમિકાની જાણકારી આપી હતી. વાચકોના આગ્રહને માન આપીને ગાંધીધામમાં આ પહેલી જ વાર આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય શહેરોની જેમ ગાંધીધામમાં પણ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને રેડિસન હોટેલ કંડલાનો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો.