પૂર્વ અને ઉત્તરમાં માર્જિન વધુ હોય તો સરસ…

માણસ માત્રનું જીવન અકુદરતી છે. અન્ય જીવો વાહન નથી ચલાવતા કે રાંધેલું નથી ખાતા. તે સતત કુદરતથી વિમુખ થઇ રહ્યો છે. કુદરતની હકારાત્મક ઉર્જાના નિયમો વાસ્તુ શાસ્ત્ર થકી મળે છે. જે તેને સંતુલિત જીવન આપી શકે છે. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તેનો પ્લોટ લંબચોરસ છે અને તેની એન્ટ્રી પૂર્વી ઇશાનમાંથી છે. અહી રહેતા લોકોની વિચારધારા પ્રેક્ટીકલ હોય અને આવકજાવકનું પ્રમાણ લગભગ સરખું રહે.સૂચન પહેલાના નકશા મુજબ પશ્ચિમ કરતા પૂર્વમાં અને દક્ષીણ કરતા ઉત્તરમાં માર્જીન વધારે છે જે ખુબ સારું ગણાય. ઉત્તરથી વાયવ્યનો માર્જીનનો ભાગ અન્ય ભાગ કરતા ઉપર છે જે યોગ્ય નથી. ઘરના પુરુષનો આત્મવિશ્વાસ ઘટે અને નારીને અસંતોષ રહે. ઇશાનમાં પાર્કિંગની વ્યવસ્થા માનસિક તણાવ આપે. ઘરની એન્ટ્રી પણ વાંકીચુકી છે. અંતે પૂર્વ મધ્યમાંથી ઘરમાં જવાય છે. આ ઘરમાં સમગ્ર પરિવાર એક સાથે હોય તેવું ઓછુ બને. દેવસ્થાન યોગ્ય છે, પણ તેના લીધે પૂર્વમાં ખાંચો પડે છે જે માનસન્માન ઓછા કરે.

સૂચન પહેલાના નકશામાં બેઠક રૂમ પણ યોગ્ય જગ્યાએ છે પણ બેઠક વ્યવસ્થા દક્ષિણ તરફ મુખ રાખવાવાળી છે. એથી ગુસ્સો વધારે આવે. ઓસરી પૂર્વમાં હોઈ શકે પરંતુ ચોકડી અગ્નિમાં ન હોઈ શકે. અહી પાણી ભરેલું ન રાખવાની સલાહ છે. રસોડું અગ્નિમાં હોઈ શકે પણ અહી રસોઈની વ્યવસ્થા યોગ્ય નથી. દક્ષિણ તરફ મુખ રાખીને રસોઈ કરવાથી ગુસ્સો વધારે આવે અને ગોઠણથી નીચેના ભાગમાં પગ દુખે. રસોડાનો દરવાજો યોગ્ય નથી. તેથી નારીને તબિયતની ફરિયાદ રહે. સ્ટોર અને દાદરો યોગ્ય ગણાય. પરંતુ દાદરમાં ત્રાંસા પગથીયા યોગ્ય નથી. જેના કારણે ભય રહે. બ્રહ્મમાં ડાયનીંગ ટેબલ હોય તો ઘરની દરેકે દરેક વ્યક્તિ એક સાથે બેસીને જમતી હોય તેના સંજોગો ઘટે. ઉત્તર મધ્યમાં ટોઇલેટ યોગ્ય નથી. જે નવી પેઢી માટે નકારાત્મક ગણાય છે. માસ્ટર નૈરુત્યમાં હોય તો તે યોગ્ય ગણાય. અહી સુવાની વ્યવસ્થા યોગ્ય છે. ટોઇલેટ અને  ડ્રેસિંગની સ્થિતિ યોગ્ય નથી. પેટની બીમારી રહે. વાયવ્યમાં બેડરૂમ હોઈ શકે પણ અહી પશ્ચિમ તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થા યોગ્ય ન ગણાય. અહી ઊંઘ પૂરી થયાનો સંતોષ ન મળે. વળી એક દ્વાર અહી પણ છે. જેના કારણે બાળકોને લગતી ચિંતા રહે. ઉત્તર મધ્ય બાદ વાયવ્યનો ભાગ થોડો બહાર પણ આવે છે. જે આ સમસ્યામાં વધારો કરે. અહી પડવા આખડવાની ઘટના પણ બને. કારણ વિનાની ચિંતા, વિવિધ બીમારી, આર્થિક સમસ્યા, નવી પેઢી વિષે અસમંજસ જેવી અનેક સમસ્યાઓ હોવા છતાં પહેલી નજરે ઘરની વ્યવસ્થા વાસ્તુ આધારિત લાગે છે, કારણ કે વાસ્તુ નિયમો માત્ર નકશા પરના મકાન અને આંઠ દિશાઓથી વધારે ગહન છે. પણ ભારતીય વાસ્તુમાં આનું નિરાકરણ છે. તેથી ગભરાવાની જરૂર નથી.આ જ ઘરમાં સુખી થવા માટે સર્વ પ્રથમ તો સુચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને ઇશાનમાં પાંચ તુલસી અને ચાર હજારી વાવવા. અગ્નિમાં ચાર ફૂલ દાડમ, વાયવ્યમાં બે બીલી અને ઉત્તરમાં દ્રાક્ષ વાવવા. નૈરુત્યમાં બે નારીયેળી વાવવી. વધારાના દ્વાર બંધ કરી દેવા. ઘરમાં ગુગળ જસ્મીનનો ધૂપ સવાર સાંજ કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવી દેવા. સૂર્યને અર્ઘ્ય આપવો.

નકારાત્મકતાના અંધકારમાંથી બહાર લાવે છે હકારાત્મક ઉર્જા… જેના નિયમો મળે છે વાસ્તુ થકી