વાસ્તુ: મૃત્યુ, ભય અને ભ્રમ

જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ સનાતન સત્ય છે. તો પણ આ બાબતમાં વિરોધાભાસ ધરાવતી મનોદશા દેખાય છે. કેટલાક લોકો એવું મને છે કે એ ક્યારેય મરવાના જ નથી. અને કેટલાક લોકો સતત મૃત્યુથી ડર્યા કરે છે. જેમને ડર છે એમનું દમન શક્ય છે. અને જેમને ડર નથી એ દમન કરી શકે છે. વળી અમર થવું એને વરદાન ગણી શકાય? હજારો વરસ સુધી જીવવામાં પોતાના સ્નેહીઓનો અભાવ દેખાય, જાતજાતના રોગની અસર હોવા છતાં દેહ છુટે નહિ, લોકો ભૂતકાળ સમજીને કોઈ વાત માને નહિ આવી ઘણી સ્થિતિ સર્જાઈ શકે. તેથી જ મૃત્યુનો સ્વીકાર કરતા જ જીવન વિષે બધું જ સમજાય જાય એવું પણ બને.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારાથી નજીકમાં એક ભાઈ રહે છે. એ પોતાની ઉમર ત્રણસો વરસની દર્શાવે છે. એમનું એવું કહેવું છે કે એ પ્રેત યોની સાથે વાત કરી શકે છે. એમના કહેવા મુજબ પાછલા જનમમાં હું ઈરાનમાં રહેતી હતી. અને મને પીરામીડમાં દફનાવી હતી. તેથી મારે મારા ઘરના ડ્રોઈંગ રૂમમાં કબર બનાવવી જોઈએ. એનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. શું આ વાત સાચી છે?

જવાબ: સહુથી પહેલા તો એ ભાઈનું નામ ગિનીસ બુકમાં લખાવવાનું કહો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. વળી આપણે ત્યાં પુનર્જન્મની વાત છે. જે વાતને એ પોતે પણ સમર્થન આપે છે. જેટલા પણ લોકો મૃત્યુ પામે છે એ બધા પ્રેત યોનીમાં જાય છે એ વાત જ પાયા વિનાની છે. આ ગેરમાન્યતામાંથી જ પિતૃદોષનો વિચાર જન્મ પામ્યો હોય એવું પણ બની શકે. જે માણસને સાચો ઈતિહાસ નથી ખબર એને કોઈ પણ યોની સાથે વાત કર્યા બાદ પણ કોઈ જ્ઞાન મળ્યું હોય એવું લાગતું નથી. ઈરાનમાં કોઈ પણ પીરામીડ ક્યારેય બન્યા નથી. ઈજીપ્તમાં બન્યા છે. અને તમને પીરામીડમાં દફનાવ્યા હતા એટલે ઘરમાં કબર બનાવો એ વાત સાવ વાહિયાત છે. જેમને અગ્નિસંસ્કાર આપ્યા હોય એમના ઘરમાં ચિતા મુકવી જોઈએ એવો નિયમ ક્યારેય જોયો છે?

ઘરમાં સુખ શાંતિ લાવવા માટે સહુથી પહેલા તો આવા માણસોથી દુર રહો. બીજું કે સત્યને જાણવા પ્રયાસ કરો. કોઈની પણ વાતમાં આવીને વિચાર્યા વિના નિર્ણય ન લો. એમને પૂછો કે ત્રણસો વરસ પહેલા અમદાવાદ કેવું હતું એનું વર્ણન કરે. એ એમને ચોક્કસ ખબર નહિ હોય.

સવાલ: અમે જે સોસાયટીમાં રહીએ છીએ એમાં મોટા ભાગના લોકો પંચાતીયા છે. અમારા ઘરમાં જે વાત થાય એને મીઠું મરચું ભભરાવીને બહાર ફેલાવે છે. મારી દીકરી બીમાર હતી એટલે હું બાળકોના રૂમમાં સુતી અને દીકરાને એના પપ્પા સાથે સુવરાવવો તો કહે કે કેવી રીતે જીવવું એ સમજણ નથી. ઘરે મહેમાન આવ્યા અને અમે બહાર હતા તો કહે કે આવા કેવા મહેમાન છે કે કહ્યા વગર આવી જાય છે. અને મહેમાનને ચડાવ્યા કે કેવા લોકો છે તમે આવો ત્યારે ઘરે ન હોય. આવું ઘણી વાર થાય છે. આનો કોઈ ઈલાજ ખરો?

જવાબ: આવા લોકો ઘણી બધી જગ્યાએ હોય છે. આ નવરા લોકોનું કામ છે. જે આપણા દેશમાં સહુથી વધારે છે. આવા લોકોને નજરઅન્દાઝ કરો. એમને ગણશો નહિ એટલે એની મેળે જ બધું બરાબર થઇ જશે. આવા લોકોનો ઓપીનીયન પણ અગત્યનો નથી હોતો. પાણી વધારે પીવો. એ મનને શાંત રાખવામાં મદદ કરશે.

સુચન: દક્ષિણના દોષના લીધે સમસ્યા હોય તો યોગ્ય રીતે પ્રાણાયામ કરવાથી લાભ થાય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )