રાહુનું રાશિ પરિવર્તન: મિથુનમાં પ્રવેશ સાથે બારેય રાશિઓનું ફળકથન

છાયાગ્રહ રાહુ મિથુન રાશિમાં તારીખ ૦૭ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રવેશ કરશે અને તેની બરાબર સામે છેડે રહેલ છાયાગ્રહ કેતુગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ કર્ક રાશિમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી રહેશે, રાહુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહે છે. રાહુ ગ્રહ મનુષ્યના મસ્તકને અને ખાસ તો અહમને રજુ કરે છે. તમે જીવનમાં પોતાના રસના વિષયોમાં બદલાવ અને અન્ય લોકોનો તમારા પ્રત્યે અભિગમમાં બદલાવ આ સમય દરમ્યાન અનુભવો છો. રાહુએ વિસ્તરણનો ગ્રહ છે, ઘણીવાર રાહુના આ રાશિ પરિવર્તનને લીધે મનુષ્ય મોટા નિર્ણયો પણ લે છે. નિર્ણયો જો સાચા અને અભિમાન વગરના હોય તો બધું સવળું પડે છે. અહમને જો કાબુમાં રાખીએ તો રાહુ કાબુમાં રહે. નાડી શાસ્ત્રો અને વેદિક જ્યોતિષ પ્રમાણે રાહુ ગ્રહનું ગોચર લાંબા ગાળાની અસરો કરનારું હોય છે, મૂળભૂત રીતે રાહુએ પૂર્વ સંચિત કર્મને ઉજાગ્ર કરતો ગ્રહ છે, રાહુનું ગોચર ભ્રમણ જાતકના કાર્યક્ષેત્ર અને માનસિક અભિગમમાં લાંબાગાળાનો બદલાવ લાવનારું હોય છે.

રાહુના રાશિ પરિવર્તનને ધ્યાનમાં લઈને બારેય રાશિઓ પર રાહુનું રાશિ પરિવર્તન શું અસર કરશે તેનો ફળાદેશ નીચે આપેલ છે:

મેષ: મેષ રાશિના જાતકોને રાહુનું રાશિ પરિવર્તન મદદરૂપ થશે, સફળ થશો, આ સમય દરમ્યાન તમારા કાર્યોમાં અસાધારણ ગતિ અને તુરંત નિર્ણય લઇ શકાય. એક અનુભવ છે કે આ યોગમાં જે સ્વપ્ન આવે છે તે સૂચક હોય છે.

વૃષભ: બીજે ભાવે રાહુ તમને આર્થિક હરણફાળ આપવાના ઘણા મોકા આપી શકે. પરંતુ તમારે મનને કાબુમાં લાવીને કાયદા અને વ્યવસ્થામાં રહીને કાર્ય કરવાનું છે. સંતાન બાબતે વધુ ધ્યાન આપવું પડશે. કુટુંબમાં આજ્ઞા માનીને રહેવું.

મિથુન: આ રાશિમાં રાહુ પ્રવેશતા, આ રાશિના જાતકોને ‘અહમ’નો ટકરાવ અને પોતાની સામાજિક શાખને લગતા પ્રશ્ન સતાવી શકે. વ્યવસાયમાં તમે ત્રણ ગણા આગળ વધશો પરંતુ સંબંધોમાં તકલીફનો માહોલ રહી શકે. કાળા કપડા હિતાવહ નથી, ચાંદી લાભદાયક.

કર્ક: રાહુનું રાશિ પરિવર્તન તમને વધુ મોજશોખ અને ભૌતિક જીવન તરફ લઇ જઈ શકે. આ સમય દરમ્યાન વ્યસનથી દુર રહેવું. કોઈ પણ બિમારી હોય તો તેની પર વધુ ધ્યાન આપવું. બહેન અને દીકરીને ખુશ કરવા અને તેમને મદદ કરવી.

સિંહ: આર્થિક લાભના યોગો થશે. નોકરી કરતા હોવ તો જલ્દી જ પ્રગતિ થઇ શકે. કુટુંબ કે મિત્રો સાથે ઝગડો ખુબ નુકસાન આપી શકે. પિતાની તબિયત નરમ રહે તેવું બને. આર્થિક પ્રગતિ માટે શનિગ્રહની ચીજોનો ઉપયોગ અને અશક્તને મદદ કરવી.  

કન્યા: કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં ખુબ પ્રગતિ થઇ શકે. મોટા ખર્ચ આવી શકે પરંતુ તમારી પ્રગતિ માટે સહાયક રહે. પરિવારની સાથે રહેવાથી લાભ થાય. તડકામાં ખુલ્લા માથે ફરવું જોઈએ નહિ. રાહુની શુભ અસર માટે સફેદ ટોપી પહેરી શકાય.

તુલા: નવમે રાહુ, સંતાન વિષયક બાબતોને વધુ ધ્યાને લેવા કહે છે. ધાર્મિક આસ્થા હોવી અને પોતાના ગુરુનું શરણ હોવું તમને ખુબ ફાયદો આપી શકે. સોનાની ચીજો તમને લાભ આપે, સોનું ધારણ કરવું ફાયદો આપી શકે.

વૃશ્ચિક: અષ્ટમ રાહુ તમને માનસિક અને શારીરિક તકલીફો આપી શકે. વ્યર્થ ઝગડામાં પડવું તમને મોટી કિમતનું નુકસાન કરાવે. મહત્વની ચીજો ખોવાઈ જવી કે બેદરકારીને લીધે નુકસાન થઇ શકે. ઓશિકા નીચે વરીયાળી મુકીને સુવું, વરીયાળી જળપ્રવાહ કરી શકાય.

ધન: ધન રાશિના જાતકોને નોકરી અને લગ્ન બંને બાબતોમાં ઉતાર ચઢાવ આવી શકે. નોકરીમાં મન સતત હતાશા અનુભવે. નારીયેલ અથવા બદામને શનિવારે જળપ્રવાહ કરવી. લગ્ન બાબતે નિર્ણયમાં ખોટી ઉતાવળથી બચવું. નોકરી બદલાઈ શકે.

મકર: મકર રાશિના જાતકોને છઠે રાહુ, આર્થિક બાબતે મદદગાર સાબિત થશે. નોકરી કે વ્યવસાયમાં આર્થિક લાભ થઇ શકે. શત્રુઓ તમારા પ્રભાવને લીધે નિર્મૂળ થશે. સરસ્વતીદેવીની છબી પોતાની પાસે રાખવી લાભદાયી રહે. આર્થિક લાભ થઇ શકે.

કુંભ: પંચમ રાહુ પિતા ને કષ્ટ આપી શકે, શેર-સટ્ટા વગેરેમાં નુકસાનના યોગ આપી શકે. અભ્યાસમાં રુકાવટ અને ચિંતા આવે. માંસાહાર કે જીવહત્યા ખુબ નુકસાનદાયી થાય. પોતાન આશીર્વાદ લઈને નવા કાર્ય કરવાથી ખરાબ અસરોથી બચી શકાય.

મીન: ચતુર્થ ભાવે રાહુ તમને વાહન અને મકાન બાબતે તકલીફ આપી શકે. શરીર પર ચાંદી પહેરવી નહિ. કન્યાઓને લગ્ન બાબતે આર્થિક મદદ કરવી, સ્ત્રી વર્ગને માનસન્માન સાથે વર્તવું, રાહુ જનિત તકલીફ દુર કઈ શકે. વાહન બદલવા રાહ જોવી લાભદાયી.