વર્લ્ડ કપઃ રોહિતની પાંચમી વિક્રમસર્જક સદી; ભારતે શ્રીલંકાને 7-વિકેટથી હરાવ્યું

હેડિંગ્લી – અહીં લીડ્સ ખાતે ભારતે આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં પોતાની આખરી લીગ મેચમાં શ્રીલંકાને 7-વિકેટથી પરાજય આપ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરીને તેની 50 ઓવરમાં 7 વિકેટે 264 રન કર્યા હતા. ભારતે 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 265 રન કરીને મેચ જીતી લીધી. આ સાથે ભારતના 8 મેચોમાં સાતમાં જીત, એકમાં પરાજય સાથે 15 પોઈન્ટ થયા છે.

ભારતની આજની જીતમાં પણ વાઈસ-કેપ્ટન રોહિત શર્માએ એની એક વધુ સદી સાથે યોગદાન આપ્યું. તેની આજની સદી વર્લ્ડ કપ સ્પર્ધાના ઈતિહાસમાં વિક્રમસર્જક બની છે. એક જ વર્લ્ડ કપમાં આ તેની પાંચમી સદી છે. આ સાથે જ એણે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર કુમાર સંગકારાનો – ચાર સદીનો વિક્રમ તોડ્યો છે, જે સાંગકારાએ 2015ની સ્પર્ધામાં નોંધાવ્યો હતો. રોહિત શર્મા આજે 103 રન કરીને આઉટ થયો હતો. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ તેની 27મી સદી થઈ છે. વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં રોહિતની આ છઠ્ઠી સદી છે. પહેલી સદી એણે 2015ની સ્પર્ધામાં બાંગ્લાદેશ સામેની ક્વાર્ટર ફાઈનલમાં ફટકારી હતી. રોહિત આ વખતની સ્પર્ધામાં પહેલી મેચથી જ છવાઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મેચમાં એણે અણનમ 122 રન કર્યા હતા. ત્યારપછી એનો સ્કોર આ પ્રમાણે રહ્યો છેઃ 57, 140, 1, 18, 102, 104 અને 103.

રોહિત શર્મા અને તેના જોડીદાર ઓપનર લોકેશ રાહુલ (111)એ પહેલી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 94 બોલનો દાવ રમીને આઉટ થયો હતો, જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. રાહુલે 118 બોલનો સામનો કર્યો હતો જેમાં 11 ચોગ્ગા, એક છગ્ગો છે. કેપ્ટન વિરાટ કોહલી 34 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. રિષભ પંત 4 રન કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડયા 7 રન સાથે નોટઆઉટ રહ્યો હતો.

શ્રીલંકાનો અનુભવી અને ઝંઝાવાતી ફાસ્ટ બોલર લસિથ મલિંગા આજે સૌથી વધારે ઝૂડાયો હતો. એની 10 ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 82 રન ઝૂડી કાઢ્યા હતા.

એ પહેલાં, શ્રીલંકાના દાવની વિશેષતા ભૂતપૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂસની સદી (113 રન) રહી. એને સાથ મળ્યો હતો લાહિરુ થિરિમન્નેનો, જેણે 53 રન કર્યા હતા. ભારત વતી સૌથી વધારે વિકેટ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે લીધી હતી – 10 ઓવરમાં 37 રનમાં 3.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં 8માંથી છ મેચ જીતીને 13 પોઈન્ટ્સ સાથે ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા બાદ બીજા ક્રમે છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ આજે તેની છેલ્લી લીગ મેચ રમશે અહીં લીડ્સ ખાતે – શ્રીલંકા સામે.

ભારત આજની મેચ પૂર્વે જ સેમી ફાઈનલમાં પ્રવેશી ચૂક્યું હતું અને શ્રીલંકા સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂક્યું હતું. એટલે આજની મેચનું પરિણામ સેમી ફાઈનલના 4 સ્થાનોમાં કોઈ ફેરફાર કરવાનું નહોતું, કારણ કે ચારેય સ્થાન નક્કી થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ.

httpss://twitter.com/mohanstatsman/status/1147533625165901824

httpss://twitter.com/mohanstatsman/status/1147146276779130884