શ્રીસાન્તને પત્ની સાથે ‘નચ બલિયે’માં ભાગ લેવો છે; BCCI ની મંજૂરી માગી

મુંબઈ – વિવાદાસ્પદ ક્રિકેટર એસ. શ્રીસાન્ત હવે રૂપેરી દુનિયા તરફ વળ્યો છે. એણે કહ્યું છે કે યુગલ ડાન્સ રિયાલિટી કોમ્પીટિશન ટીવી શો ‘નચ બલિયે’માં એની એની પત્ની ભૂવનેશ્વરી કુમારી સાથે ભાગ લેવાની એને ઓફર કરવામાં આવી છે. પોતે આ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પરવાનગી માગી છે, પણ હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી.

શ્રીસાન્ત હાલ ક્રિકેટ બોર્ડની શિક્ષા ભોગવી રહ્યો છે.

2013ની આઈપીએલ સ્પર્ધામાં મેચ-ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ક્રિકેટ બોર્ડે શ્રીસાન્ત પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને ગયા મહિને હટાવી લીધો હતો અને ક્રિકેટ બોર્ડને કહ્યું છે કે તે શ્રીસાન્તને કરેલી શિક્ષા વિશે ફેરવિચારણા કરે.

શ્રીસાન્ત આ પહેલાં ‘બિગ બોસ’, ‘ઝલક દિખલા જા’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા ટીવી શોમાં પણ ચમક્યો હતો.

‘નચ બલિયે’ શો લગભગ ત્રણ-ચાર મહિના સુધી ચાલે છે.

2013ની આઈપીએલમાં સ્પોટ-ફિક્સિંગના આરોપસર દિલ્હી પોલીસે શ્રીસાન્ત ઉપરાંત અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણની ધરપકડ કરી હતી.

સ્ટાર પ્લસ પર રજૂ કરાતા શોમાં દ્રષ્ટિ ધામી અને નીરજ ખેમકા, અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી, પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી પણ ભાગ લેવાનાં છે.

બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ આ શોમાં એક જજ બનવાનો છે એવો પણ અહેવાલ છે.