નવી દિલ્હી – ગરદનમાં થયેલી ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ ચૂકી જનાર વિરાટ કોહલી ભારતીય ટીમમાં ફરી સામેલ થઈ ગયો છે.
કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના બે મહિના-લાંબા પ્રવાસ માટે રવાના થવાની પૂર્વે કોહલીએ અહીં પત્રકારો સાથે વાતચીત કરી હતી. એણે ભારપૂર્વક કહ્યું કે વિદેશની ધરતી પર ભારતીય ટીમના કંગાળ રેકોર્ડને સુધારવા તે પૂરો પ્રયાસ કરશે.
ભારતીય ટીમ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી ત્યારે ત્રણ-ટેસ્ટ મેચની સિરીઝ 1-2થી હારી ગઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ છેલ્લે જ્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે 1-3થી સિરીઝ હારી ગઈ હતી. એ સિરીઝમાં કોહલી બેટિંગમાં સદંતર નિષ્ફળ ગયો હતો.
પત્રકારોના સવાલના જવાબમાં કોહલીએ કહ્યું કે, હું 100 ટકા ફિટ થઈ ગયો છું. મારી ગરદન હવે એકદમ બરાબર થઈ ગઈ છે. એના ઉપચાર માટે મારે મુંબઈમાં છથી સાત સત્રમાં હાજરી આપવી પડી હતી. મેં સારી પ્રેક્ટિસ પણ કરી છે. હું આ પ્રવાસે જવા એકદમ સજ્જ થઈ ગયો છું. ફિટનેસ ટેસ્ટમાં પણ હું પાસ થઈ ગયો હતો. હું ફિલ્ડ પર ફરી જવા માટે આતુર છું.
2014ની સાલના વિદેશ પ્રવાસ વખતે ભારતીય ટીમ પહેલા ટેસ્ટ સિરીઝ રમી હતી અને એમાં 1-3થી હારી ગઈ હતી અને ત્યારબાદ વન-ડે ઈન્ટરનેશનલ મેચો તથા ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં રમી હતી. પરંતુ આ વખતના પ્રવાસમાં પહેલા સાત વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાશે, જે એક મહિના સુધી ચાલશે અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે પાંચ-મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે.
પત્રકાર પરિષદમાં કોહલીની સાથે ટીમના વડા કોચ રવિ શાસ્ત્રી પણ હાજર હતા.
ભારત આયરલેન્ડમાં બે-મેચની ટ્વેન્ટી-20 સિરીઝ રમશે અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ, ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે.
કોહલી અને શાસ્ત્રી, બંનેએ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીઓમાં સારો દેખાવ કરવા અંગે ભારતીય ટીમની સમર્થતા અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.