ડો. આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ હાર્દિક પંડ્યા સામે FIRનો આદેશ

વડોદરા/જોધપુર – કોલકાતાનિવાસી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બાદ એક વધુ ભારતીય ક્રિકેટર કાનૂની વિવાદમાં સપડાયો છે. આ વખતે વડોદરાનિવાસી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક અભદ્ર ટ્વીટના મામલે ફસાયો છે.

હાર્દિકે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે એક અભદ્ર ટિપ્પણી કરતાં એની સામે પોલીસ એફઆઈઆર નોંધવાનો જોધપુરની એક કોર્ટે આદેશ આપ્યો છે.

ડી.આર. મેઘવાળ નામના એક એડવોકેટ અને રાષ્ટ્રીય ભીમસેનાનાં સભ્યએ નોંધાવેલી ફરિયાદને પગલે જોધપુરની અદાલતે હાર્દિક પંડ્યા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

અમુક મહિનાઓ પહેલાં, પંડ્યાએ આંબેડકર વિશે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. એને કારણે આંબેડકરના સમર્થકોમાં રોષ ફેલાયો હતો. એડવોકેટ મેઘવાળે માગણી કરી છે કે પંડ્યા સામે અનુસૂચિત જાતિઓ-અનુસૂચિત જનજાતિઓના કાયદા અંતર્ગત એફઆઈઆર નોંધવી જોઈએ.

મેઘવાળ એફઆઈઆર નોંધાવવા માટે જોધપુરના લુની પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા, પણ પોલીસ અધિકારીઓએ એમને કહ્યું હતું કે આટલા મોટા ક્રિકેટર સામે તેઓ એફઆઈઆર નોંધી શકે એમ નથી.

એટલે મેઘવાળ કોર્ટમાં ગયા હતા અને ત્યાંથી એફઆઈઆર વિશેનો આદેશ મેળવ્યો હતો.

પોલીસે એકલા હાર્દિક પંડ્યા જ નહીં, પણ પંડ્યા સામે એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરનાર રાજેન્દ્ર સિંહ (લુની પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ) સામે પણ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.

હાર્દિક પંડ્યાએ ગયા ડિસેમ્બરમાં એવું ટ્વીટ કર્યું હતું કે, ‘કોણ આંબેડકર? એ કે જેણે વાંધાજનક કાયદો અને બંધારણ ઘડ્યા હતા કે એ જેણે દેશમાં અનામત નામનો રોગ ફેલાવ્યો છે.’

હાર્દિક પંડ્યાનું ટ્વીટ નકલી હતું કે અસલી, તે હજી પાકું થયું નથી. એ નિર્ણય કોર્ટ લેશે.

હાર્દિક પંડ્યાની સરખામણી દંતકથાસમા ભારતીય ઓલરાઉન્ડર અને સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી રહી છે.