ન્યૂ ઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટેની ટીમમાં ધવનની વાપસી, જાડેજા-અશ્વિનને સ્થાન નહીં

નવી દિલ્હી – ભારતના પ્રવાસે આવનાર ન્યૂ ઝીલેન્ડ ટીમ સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટીમમાં સ્થાન મેળવવામાં રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિનને ફરી એકવાર નિરાશા હાથ લાગી છે. જ્યારે શિખર ધવનની ટીમમાં વાપસી થઈ છે. તો વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો પણ પંદર ખેલાડીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આગામી 22 ઓક્ટોબરથી શરુ થઈ રહેલી વનડે સિરીઝ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિનનો આરામ યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવેલા ખેલાડી લોકેશ રાહુલને ન્યૂ ઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

આ ઉપરાંત જાડેજા અને અશ્વિનની સ્પીન જોડીને સતત ત્રીજી શ્રેણીમાં પણ આરામ આપવાનો BCCIએ નિર્ણય કર્યો છે. તેની જગ્યાએ સિલેક્શન કમિટિએ અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ કર્યો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણીમાં ટીમમાંથી બહાર રહેલા અંજિક્ય રહાણેનો ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે ટીમના મધ્યક્રમમાં અનુભવી બેટ્સમેનની ખોટ પુરી કરશે.

ટીમ આ મુજબ છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંજિક્ય રહાણે, મનિષ પાંડે, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરા, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુર.