અર્જુન તેંડુલકરને ટીમના અન્ય સભ્યોની જેમ જ ગણવામાં આવશેઃ કોચ

મુંબઈ – ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમમાં અર્જુન તેંડુલકરને કોઈ વિશેષ ખેલાડી તરીકે નહીં, પણ ટીમના અન્ય સભ્યોની જેમ જ ગણવામાં આવશે. મારે મન ટીમના બધા છોકરાઓ સમાન છે, એવું ટીમના બોલિંગ કોચ સનથ કુમારે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય અન્ડર-19 ક્રિકેટરોની ટીમ આવતા જુલાઈ મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જવા સજ્જ થઈ રહી છે. ત્યાં તે ચાર-દિવસની બે મેચ રમશે. દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકરના પુત્ર અને ડાબોડી મધ્યમ ઝડપી બોલર અર્જુનનો સમાવેશ એ ટીમમાં કરવામાં આવ્યો છે. એ પ્રવાસ માટેની તાલીમ શિબિર 1 જુલાઈથી બેંગલુરુમાં એનસીએ ખાતે શરૂ કરવામાં આવશે.

સનથ કુમારે વધુમાં જણાવ્યું છે કે હું મારું ધ્યાન વ્યૂહરચનાઓ ઘડવા ઉપર વધારે કેન્દ્રિત કરી રહ્યો છું.