ગાંડા થયેલા વિકાસને પાટા પર લાવવાનો છેઃ રાહુલ ગાંધી

રાજકોટ– રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. રાહુલ ગાંધીના પ્રવાસના આજે બીજા દિવસે જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરીને જીએસટીના અમલથી પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. તે પછી જામનગરથી રાજકોટ આવ્યાં હતાં. રસ્તામાં ગ્રામજનોને મળ્યાં હતાં અને તેમની વાત સાંભળી સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી દિલ્હીથી રીમોટ કન્ટ્રોલથી ગુજરાત સરકાર ચલાવે છે. રાહુલે કોંગ્રેસના સોશિયલ કેમ્પેઈન ‘વિકાસ ગાંડો થયો છે’નો ઉલ્લેખ પણ કર્યો હતો. અને લોકોને પૂછ્યું હતું કે વિકાસને શું થયું, જવાબમાં લોકોએ કહ્યું કે ગાંડો થઈ ગયો છે. જે વિકાસ ગાંડો થયો છે, તેને ફરીથી પાટા પર લાવવાનો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતને આપ રીમોટ કન્ટ્રોલથી નહી ચલાવી શકો, ગુજરાતને ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ ચલાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું પાટીદાર સમાજને કહેવા માંગુ છું કે ભાજપના લોકોએ આપના પર ગોળી ચલાવી છે, આ કોંગ્રેસની રીત નથી, અમે પ્યાર અને ભાઈચારાથી કામ કરીએ છીએ.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલજીની જે મૂર્તિ બની રહી છે, તેની પાછળ લખ્યું છે ‘મેઈડ ઈન ચાઈના’. આ શરમજનક વાત છે. ગુજરાતમાં ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદાર કામ કરે છે. અને 5-10 ઉદ્યોગપતિઓ ફાયદો લઈ જાય છે આ ગુજરાતની કહાની છે.

પીએમ મોદીના ગઢ એવા ગુજરાત અને તેમાંય સૌરાષ્ટ્ર… ભાજપનો ગઢ છે. તેવા સૌરાષ્ટ્રમાં પાટીદારોને મળીને રાહુલ ગાંધીએ રાજકીય રંગમાં નવા રંગનો ઉમેરો કર્યો છે.