ગુજરાતીઓના દબાણને કારણે સરકારે GST ઘટાડ્યો છેઃ રાહુલ ગાંધી

અમદાવાદ- કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજે શનિવારે ચોથી વખત ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડીને પ્રચાર કરશે. રાહુલ ગાંધીએ આજે સવારે ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી, સ્વામીનારાયણ ભગવાનના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. ચૂંટણી પ્રચારને સાથે મંદિર દર્શનનો કાર્યક્રમ પણ સાથે રહેશે.

રાહુલ ગાંધીએ અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યા પછી ચિલોડા જવા રવાના થયા હતા. ચિલોડામાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું, ચિલોડાની જનતાને સંબોધન કરતા રહ્યું હતું કે ગબ્બરસિંહ ટેક્સની ન તો ગુજરાત જોઈએ છે કે ન તો દેશને… કોંગ્રેસ પહેલા જ કહી ચુકી છે કે જીએસટી સરળ ટેક્સ હોવો જોઈએ. મોદી સરકારે કોઈની પણ સલાહ લીધા વગર અડધીરાતે તેને લાગુ કરી દીધો છે. પણ ગુજરાત અને કોંગ્રેસે સરકાર પર પ્રેશર વધાર્યું હતું, જેથી સરકારને જીએસટીના રેટમાં ફેરફાર કરવો પડ્યો છે. કેટલીય ચીજવસ્તુઓને 28 ટકાના ટેક્સ રેટમાંથી 18 ટકાની રેટમાં લાવવી પડી છે, તે માત્રને માત્ર ગુજરાતને આભારી છે.

ભાજપની સરકાર પાંચ ઉદ્યોગપતિઓને મદદ કરી રહી છે. સરકારે ખેડૂતોની જમીનો છીનવી લઈને ઉદ્યોગપતિઓને આપી છે. જો દેશમાં કોંગ્રેસની સરકાર રચાશે તો લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને અનામત આપવામાં આવશે.

રાહુલ ગાંધી ત્રણ દિવસ દરમિયાનની યાત્રામાં ઉત્તર ગુજરાતના છ જિલ્લોનો પ્રવાસ કરશે. સાથે બહુચરાજી અને અંબાજી મંદિરમાં દર્શન પણ કરશે. અંબાજીમાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે.