બે દિવસની નરમાઈ પછી શેરબજારમાં સુધારો, સેન્સેક્સ 32 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં બે દિવસની નરમાઈ બાદ આજે સામાન્ય સુધારો આવ્યો હતો. જો કે સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા ખુલ્યા પછી તેજીવાળા ખેલાડીઓની ભારે વેચવાલી ચાલુ રહી હતી. પણ ટ્રેડિંગ સેશનના અંત ભાગમાં નવી વેચવાલી અટકી હતી, અન સવારે વેચી ગયેલાઓની નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 32.12(0.10 ટકા) વધી 33,250.93 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 5.80(0.06 ટકા) વધી 10,308.95 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટમાં સવારે પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો હતો. જો કે બપોર પછી યુરોપિયન સ્ટોક માર્કેટ નેગેટિવ હતા. જેથી દરેક ઊછાળે તેજીવાળા ખેલાડીઓ નફો બુક કરવા આવ્યા હતા. પણ બે દિવસમાં સેન્સેક્સમાં 511 પોઈન્ટનું ગાબડુ પડી ગયું હતું, જેથી આજે બ્લુચિપ શેરોમાં ટેકારૂપી નવી લેવાલી આવી હતી.

  • આજે ઓટોમોબાઈલ, એફએમસીજી, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • પીએસયું બેંક શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં નીચા મથાળે ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી.
  • બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 161.31 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 133.38 ઊંચકાયો હતો.
  • ટાટા મોટર્સનો નફો 3 ગણો વધીને આવ્યો છે, અને કુલ આવક 11.3 ટકા વધી હતી.
  • એચપીસીએલનો નફો 87.6 ટકા વધ્યો, આવક 15 ટકા વધી
  • ઈન્ડિયા સીમેન્ટનો નફો 62.1 ટકા ઘટ્યો
  • ફોર્સ મોટર્સનો નફો 17 ટકા ઘટ્યો, આવક 5.2 ટકા વધી
  • વેન્કીઝનો નફો 27.1 કરોડ આવ્યો
  • કલ્યાણી સ્ટીલનો નફો 29.1 ટકા ઘટ્યો