રૂપાણી સોમવારે દિલ્હીમાં નવા ગુજરાત સદનનું ભૂમિપૂજન કરશે

અમદાવાદ – ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમવારે, 25 સપ્ટેમ્બરે સવારે નવી દિલ્હીમાં અકબર રોડ ખાતે 7066 ચોરસ મીટર જમીન પર નિર્માણ પામનારા નવા ગુજરાત સદનનું ભૂમિપજન કરશે.

આ નવું નિર્માણ થનારું ગુજરાત સદન કેન્દ્ર સરકારના મંત્રાલયો અને સંસદભવનની નજીક હશે.

ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ વખતો વખત કરેલી રજૂઆતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળતા જ સ્વીકાર કરીને દેશના પાટનગરમાં પ્રાઈમ એરિયા ગણાતા 25, B, અકબર રોડ ખાતે જમીન ફાળવી આપી છે.

આ નવા ગુજરાત સદનની ભૂમિપૂજન વિધિમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલ અને કેન્દ્ર સરકારમાં સેવા બજાવતા ગુજરાતના પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.

69 રૂમ્સ, બેઠકરૂમ સહિતની આધુનિક સુવિધા સાથેનું આ ગુજરાત સદન ૧૮ મહિનામાં તૈયાર થવાની ધારણા છે.