મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર રચવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કર્યો: કોણ બનશે CM?

નવી દિલ્હી- મધ્યપ્રદેશમાં 22 કલાકની મતગણતરી બાદ કોંગ્રેસ 114 સીટ પર વિજય-સરસાઈના આંકે પહોંચી હતી. આ સમયે સત્તાધારી ભાજપ 108 સીટ પર વિજય-સરસાઈ સુધી પહોંચ્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહુમતિથી 2 બેઠક દૂર છે.

આ સ્થિતિમાં આજે  કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનાં પ્રતિનિધિમંડળે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ નેતા કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 13 વર્ષથી શિવરાજસિંહ ચૌહાણ સતામાં છે. ત્યારે આજે રાજ્યપાલ આનંદીબેન પટેલ સમક્ષ શિવરાજ સિંહ ચૌહાણે રાજીનામું સોંપ્યું હતું.

તો બીજી તરફ રાહુલ માટે જીત બાદ માથાનો દુ:ખાવો વધ્યો છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થતાની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ સીએમ પદ માટે મહત્વનું નિવેદન આપ્યુ છે. સિંધિયાએ જણાવ્યુ કે, હું સીએમ પદની જવાબદારી નિભાવવા માટે તૈયાર છું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયાએ ધારાસભ્યો સાથે અલગથી બેઠક પણ કરી છે. જેમા સીએમ પદ માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. મધ્ય પ્રદેશમાં સિંધિયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ સીએમ પદની રેસમાં છે. મધ્ય પ્રદેશમાં સીએમ કોણ બનશે તે અંગે ગુરૂવારે અંતિમ મુહર લાગવાની છે. આ પહેલા સિંધિયાએ જણાવ્યુ હતુ કે, ભાજપ 200થી વધારે બેઠકનો લક્ષાંક રાખીને બેઠી હતી પરંતુ પાંચ રાજ્યની તમામ બેઠક મળીને પણ ભાજપની 200 બેઠક થતી નથી.