UP પેટાચૂંટણીમાં BJPનું ખરાબ પ્રદર્શન, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

લખનઉ- ઉત્તરપ્રદેશમાં ફૂલપુર અને ગોરખપુર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયામાં પાર્ટીની મજાક ઉડાડવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથના મુખ્યપ્રધાન બન્યા બાદ ખાલી પડેલી ગોરખપુરની બેઠક માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવારે યોગીના ગઢમાં ગાબડું પાડ્યું છે. સોશિયલ મીડિયામાં લોકોએ અલગ-અલગ મુદ્દે ભાજપની મજાક ઉડાવી છે. જેમાં નરેશ અગ્રવાલનું ભાજપમાં શામેલ થવું, ગોરખપુર હોસ્પિટલમાં ઓક્સીજનની અછતનો મુદ્દો અને બાળકોના મોત જેવા મુદ્દાને લઈને લોકો BJPને ટાર્ગેટ કરી રહ્યાં છે.ફેસબુક પર એક ટિપ્પણીમાં લખવામાં આવ્યું કે, નરેશ અગ્રવાલના ભાજપમાં જોડાવાથી શ્રીરામ નારાજ થયા. જે ગોરખપુર અને ફૂલપુરમાં ભાજપના પરાજયનું કારણ બન્યું. અન્ય એક કોમેન્ટમાં લખવામાં આવ્યું કે, ‘નરેશ અગ્રવાલ ભાજપ માટે પનોતી સાબિત થયાં. ગુજરાતમાં ભાજપની ધોલાઈ થયા બાદ હવે ઉત્તરપ્રદેશમાં પરાજય થયો. માર્ચ મહિનો ભગવાધારીઓ માટે અશુભ’.

ગોરખપુરના દવાખાનામાં ઓક્સિજનની અછતથી બાળકોના મોતના મામલ પણ ભાજપ પર કોમેન્ટ કરવામાં આવી. જેમાં લખ્યું કે, ‘માર્યા ગયેલા અનેક બાળકોને શ્રદ્ધાંજલિ’. જોકે એક મુદ્દો આગળ ધરીને ભાજપના પક્ષમાં કોમેન્ટ લખવામાં આવી કે, ‘ફૂલપુર અને ગોરખપુરમાં મહાગઠબંધનની જીત થઈ. જો ભાજપનો ઉમેદવાર જીત્યો હોત તો, EVMની જીત ગણીને તેને વખોડવામાં આવ્યું હોત. ધન્ય છે આવી માનસિકતા ધરાવનારા લોકોને’.

આપને જણાવી દઈએ કે, ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ સપા-બસપામાં ઉત્સાહનો માહોલ છે અને ભાજપમાં નિરાશા છવાઈ ગઈ છે. પરિણામ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ચહેરા ઉપર પણ નિરાશા સ્પષ્ટ જણાઈ રહી હતી. આ પહેલા જ્યારે BJPની જીત થઈ ત્યારે પાર્ટી મુખ્યાલયે જીતનો જશ્ન જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, BJPની જીત બાદ પીએમ મોદી પણ પાર્ટી કાર્યાલયે કાર્યકર્તાઓને સંબોધન કરે છે, જોકે આ વખતે પાર્ટી ઉમેદવારના પરાજયના કારણે એ જોવા મળ્યું ન હતું.