કશ્મીરમાં હિમપ્રપાતઃ પોલીસ ચોકીમાં ફસાઈ ગયેલા 10માંના 3 જવાનને બચાવી લેવાયા

શ્રીનગર – દક્ષિણ કશ્મીરમાં શ્રીનગર અને જમ્મુ નેશનલ હાઈવે પર જવાહર ટનલ નજીક થયેલા હિમપ્રપાતને કારણે પોતાની ચોકીની અંદર ફસાઈ ગયેલા 10 પોલીસ જવાનોને ઉગારવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ત્રણ જવાનને બચાવી લેવામાં સફળતા મળી છે, પણ હજી બીજા સાત જવાન અંદર ફસાઈ ગયા છે.

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર જવાહર ટનલ નજીક હિમપ્રપાત થવાને કારણે પોતાની ચોકીની અંદર સપડાઈ ગયેલા ત્રણ પોલીસ જવાનને આજે બચાવી લેવામાં આવ્યા છે. હજી બીજા સાત જવાન ફસાયા હોવાનો ભય સેવાય છે.

આજે સવારે બર્ફીલો પવન ખૂબ ફૂંકાતો હતો અને તે વિસ્તારમાં એટલો બધો બરફ પડ્યો છે કે બચાવ કામદારોની ટૂકડીને ચોકી સુધી પહોંચવામાં તકલીફ પડી હતી.

કુલગામ જિલ્લામાં જવાહર ટનલમાં કાઝીગુંદ તરફના છેડે ગુરુવારે સાંજે હિમપ્રપાત થયો હતો.

ટનલ નજીકની પોલીસ ચોકીઓમાં 20 જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. હિમપ્રપાત થયો એની પહેલાં જ 10 જવાન ત્યાંથી સલામત રીતે નીકળી જવામાં સફળ થયા હતા, પરંતુ બીજા 10 જણ ફસાઈ ગયા હતા.

કશ્મીર ખીણપ્રદેશમાં ગયા બુધવારથી સખત હિમવર્ષા થઈ રહી છે. એમાંય દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લામાં સૌથી વધારે માઠી અસર પડી છે.

જિલ્લાના અમુક સ્થળોએ તો પાંચ-પાંચ ફૂટ જેટલો બરફ પડ્યો છે.