બહુ કામ કરાવે છે, PMથી નાખુશ છે પીએમઓ અધિકારીઓ, ટ્રાન્સફર કે VRS માગી

નવી દિલ્હીઃ જો વડાપ્રધાન મોદીને બીજો કાર્યકાળ મળે તો તેમને દેશની સિવિલ સેવામાં ઉચ્ચસ્તર પર મોટા બદલાવ કરવા પડી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આઠ ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને ટ્રાન્સફર કરવા અથવા તો વીઆરએસ આપવા આગ્રહ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા ત્રણ અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. આ અધિકારીઓએ વિષયની ગંભીરતાને જોતાં પોતાનું નામ આપવાથી ઈનકાર કર્યો હતો. આ પૈકી બે અધિકારીઓએ જણાવ્યું કે તેઓ રાજ્યની રાજધાનીઓ અથવા અન્ય જગ્યાએ ટ્રાન્સફર લેવા ઈચ્છી રહ્યાં છે.

વડાપ્રધાન કાર્યાલમાં આશરે 25 અધિકારીઓ કાર્ય કરી રહ્યા છે પરંતુ આખા ડિપાર્ટમેન્ટ પર દબદબો માત્ર નરેન્દ્ર મોદીનો જ રહે છે. આવામાં ઘણા ઉચ્ચ અધિકારીઓ નીતિઓને તૈયાર કરવાથી લઈને લાગૂ કરવામાં પોતાને અસમર્થ ગણી રહ્યા છે. કારણ કે કામ ખુદ વડાપ્રધાન મોદી અને પ્રધાનોના નાના સમૂહની દેખરેખમાં થઈ રહ્યું છે. ઉપરથી રોજીંદા કામનું પ્રેશર અલગથી છે. ગૃહમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આ સહયોગિતાની ભાવના લગભગ ખતમ થઈ ગઈ છે. મોદી અને તેમના પ્રધાન અમારી સાથે સામાન્ય સંબંધ નથી રાખતા. રિપોર્ટ અનુસાર આ મામલે વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ શાસન સંબંધિત મામલાઓમાં પ્રધાનોની સીધી દખલ પર પણ કંઈ જ બોલવાનો ઈનકાર કરી દીધો.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં જ્યારે પણ કોઈપણ સરકાર બીજીવાર સત્તામાં આવે છે તો અધિકારીઓમાં મોટા સ્તર પર બદલાવ જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે જોવા મળ્યું છે કે પીએમઓ સહિત તમામ મંત્રાલયોમાં ઓફિસરોની નિયુક્તિ સંબંધિત પાર્ટી સાથે નજદિકીઓના આધાર પર થાય છે. પરંતુ મોદી સરકારમાં સીનિયર અધિકારીઓને લાગે છે કે વડાપ્રધાનનું તેમના પ્રત્યેનું વલણ યોગ્ય નથી. રજાના દિવસે પણ કામ પર બોલાવવા, પ્રોપર્ટીની પૂરી જાણકારી આપવી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઓફિસની સફાઈ કરવા સહિતના મુદ્દા એવા છે જેના કારણે મોદી અને ઓફિસરો વચ્ચે અંતર વધ્યું છે.