આતંકીઓ માટે ‘જન્નત’ છે આ જેલ, સ્માર્ટફોન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ

શ્રીનગર- શ્રીનગર સેન્ટ્રલ જેલમાં બંધ પાકિસ્તાની આતંકી નાવેદ જટ્ટના ફરાર થવા પર આશ્ચર્ય થવું જોઈએ નહીં. કારણકે આ જેલમાં સુરક્ષા વ્યવસ્થાના નામે જે ‘મીંડુ’ છે તેના લીધે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ સર્જાય તો નવાઈ નહીં.હકીકત તો એ છે કે, શ્રીનગર સેન્ટ્રલ જેલ આતંકીઓ માટે ‘જન્નત’ છે. અહીં આતંકીઓને ઈન્ટરનેટ સેવા યુક્ત સ્માર્ટફોનથી લઈને કશ્મીરી મટન સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આ દાવો એક અંગ્રેજી અખબારે કર્યો છે.

અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર કશ્મીર સેન્ટ્રલ જેલમાં રહેનારા આતંકીઓ અહીં જલસાથી રહે છે. અહીં તેમની સુવિધા અને ખાનપાનની તમામ જરુરિયાતો પુરી કરવામાં આવે છે. જેલના સૂત્રોના જણાવ્યા મુજબ અહીં રૂલબુકના દરેક નિયમ અને કાયદાની અવગણના કરવામાં આવે છે. તેમ છતાં રાજ્ય પ્રશાશન અથવા ઉચ્ચઅધિકારીઓ કોઈ જ હસ્તક્ષેપ નથી કરતાં.

મહત્વનું છે કે, શ્રીનગરના SMHS હોસ્પિટલમાં ગત રોજ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ 6 આતંકીઓને ચેકઅપ કરાવવા લઈ ગઈ હતી. આ હુમલામાં અબુ હંજુલા ઉર્ફ નાવેદ જટ્ટ નામનો આતંકી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

આતંકી જેલમાંથી જારી કરે છે પ્રેસનોટ

અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે, સેન્ટ્રલ જેલમાં બંધ આતંકી જેલમાંથી જ મીડિયાને પ્રેસનોટ જારી કરે છે. જેલમાં બંધ આતંકી કાસિમ ફકતૂ ઉર્ફે આશિક ફકતૂ જે માનવાધિકાર કાર્યકર્તા એચ. એન. વાંગચૂની હત્યાના આરોપમાં બંધ છે તે અહીં જેલમાંથી જ મીડિયાને પ્રેસનોટ જારી કરે છે. જેલ સુપરિન્ટેન્ડેન્ટ અહમદ રાથર જોકે આ બધા આરોપોને પાયા વિહોણા ગણાવે છે. અહમદ રાથર જણાવે છે કે, અમે જેલ મેન્યૂનું કડકાઈથી પાલન કરીએ છીએ. તો પછી જેલ પરિસરમાં કોઈના દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો.

મહત્વનું છે કે, લગભગ 10 વર્ષ પહેલાં જ્યારે CRPF દ્વારા અહીંની જેલ ઉપર રેડ પાડવામાં આવી હતી ત્યારે તેમને મટન કાપવાનું ચપ્પુ, નોનવેજ પકાવવાના સાધનો ઉપરાંત જેલમાંથી ડઝનેક મોબાઈલ પણ મળી આવ્યાં હતાં. ત્યારથી લઈને આજદિન સુધી આ જેલની વ્યવસ્થામાં કોઈ જ સુધાર થયો નથી.