સજ્જન કુમારને સજા, 1984 શીખ રમખાણ કેસમાં આજીવન કેદ

નવી દિલ્હીઃ 1984 માં થયેલા શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. સજ્જન કુમારને રમખાણો ભડકાવવા અને ષડયંત્ર રચવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

34 વર્ષ બાદ 1984ના સીખ રમખાણ સાથે જોડાયેલા મામલે દિલ્હી હાઈકોર્ટની ડબલ બેન્ચે ટ્રાયલ કોર્ટના નિર્ણયને પલટતા સજ્જન કુમારને રમખાણ મામલે દોષીત માન્યા અને આજીવન કેદની સજા સંભળાવી.

હાઈકોર્ટે સજ્જન સીવાય બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ અને ગિરધારી લાલની આજીવન કેદની સજા યથાવત રાખી છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરની સજા વધારતા 10-10 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ પહેલા નીચલી કોર્ટે મહેન્દ્ર અને કિશન બંન્નેને ત્રણ-ત્રણ વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી.

શીખ રમખાણ પર હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે ત્યારે સજ્જન કુમારને 31 ડિસેમ્બર સુધીમાં સરેન્ડર કરવું પડશે. બાકી અન્ય 6 કેસો પર હાઈકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી રહી છે.

આ મામલો એક હત્યાકાંડ સાથે જોડાયેલો છે જેમાં નવેમ્બર 1984ના રોજ દિલ્હીના રાજનગર ક્ષેત્રમાં એક જ પરિવારના પાંચ સભ્યોને મારી નાંખવામાં આવ્યા હતા. આ હત્યાકંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી છે.