કોંગ્રેસી ઉમેદવાર દિગ્વિજય સિંહે મતદાન ન કર્યું; ભાજપે કહ્યું, ‘એ બહુ ડરી ગયા છે’

 

ભોપાલ – ગઈ કાલે લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણ વખતે મતદાન ન કરનાર કોંગ્રેસના નેતા અને ભોપાલ બેઠક માટેના ઉમેદવાર દિગ્વિજય સિંહની ભાજપના નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ઝાટકણી કાઢી છે.

ચૌહાણે એક સભામાં કહ્યું કે દિગ્ગી રાજ (દિગ્વિજય સિંહ)નું વર્તન વિચિત્ર રહ્યું છે. એ એટલા બધા ગભરાઈ ગયા હતા કે વોટિંગ કરવા પણ ન ગયા. મતદાન કરવું એ તો લોકશાહીમાં આપણું પરમ કર્તવ્ય છે. જે માણસ 10 વર્ષ સુધી મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા એમણે મતદાન ન કરીને લોકશાહી પ્રતિ એમનો એટિટ્યૂડ બતાવી દીધો છે.

રવિવારે મધ્ય પ્રદેશની ભોપાલ સહિત આઠ લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું, જે 64.24 ટકા રહ્યું. 2014ની લોકસભા ચૂંટણીની સરખામણીએ આ વખતનું મતદાન 7.43 ટકા વધારે રહ્યું. રાજ્યમાં બધે ઠેકાણે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, ક્યાંયથી કોઈ અપ્રિય ઘટનાનો અહેવાલ નથી.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે દિગ્વિજય સિંહ ભોપાલમાં પોલિંગ બૂથોમાં ફરતા રહ્યા હતા, પણ જાતે વોટિંગ કર્યું નહીં.

ચૌહાણે એવી પણ ટકોર કરી કે દિગ્વિજય સિંહ મતદાન કરવા ન ગયા એનું બીજું કારણ એ હોઈ શકે કે એમને કમલનાથ (મધ્ય પ્રદેશના હાલના મુખ્ય પ્રધાન)ની સરકાર પર ભરોસો નથી.

દિગ્વિજય સિંહ ભોપાલમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે ઊભાં છે ભાજપનાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર.

httpss://www.youtube.com/watch?v=8uTwGWobN-c