રાજસ્થાનઃ સીએમના નામો જાહેર, અશોક CM, સચીન Dy CM તરીકે સત્તાવાર ઘોષણા થઈ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો રાજસ્થાન મુખ્યપ્રધાન નક્કી કરવા મામલે નિર્ણય આખરે જાહેર થઈ ગયો છે. દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ જેમાં અશોક ગહેલોત અને સચીન પાઈલોટ ઉપસ્થિત રહ્યાં હતાં તેમાં આ ઘોષણા કરવામાં આવી હતી. 11 ડીસેમ્બરના પરિણામો બાદ સીએમ પદ પરના રહસ્યનો પડદો આ સાથે ઊઠી ગયો છે. આજેપણ અશોક ગહેલોત અને સચીન પાયલટ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યાં હતાં. મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન પદના દાવેદારો અશોક ગહેલોત અને સચીન પાયલટ સાથે ઘણી બેઠકો કરી છે અને છેવટે આ જાહેરાત સામે આવી છે. આ બંને હવે એકસાથે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવા આગળ વધશે.

આપને જણાવી દઈએ કે પાયલટે રાજસ્થાનના મુખ્યપ્રધાન પદ માટે દાવો કર્યો હતો.. રાહુલ ગાંધીના નિવાસ બહાર પાયલટના સમર્થકોએ તેમના સમર્થનમાં નારા પણ લગાવ્યાં હતાં.. રાહુલ ગાંધીએ પાર્ટીના કેન્દ્રીય પર્યવેક્ષક મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરી. ખડગેએ જણાવ્યું કે અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા આજે પ્રદેશ નેતાઓ સાથે બેઠક થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસ પાર્ટીની રાજસ્થાનમાં સરકાર બનવા પર બે બે વાર મુખ્યપ્રધાન રહેલા અશોક ગહેલોત પર મુખ્યપ્રધાન તરીકેની મહોર લાગવાની જ હતી. ઘણુ બધુ નક્કી પણ થયું હતું પરંતુ સચીન પાયલટના સમર્થકોએ રાહુલ ગાંધી સામે એવી તસવીર રજૂ કરી કે ત્યારબાદ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડે નિર્ણય લેતા પહેલા વિચાર કરવો પડ્યો.

સચીન પાયલટે રાહુલ ગાંધી સામે મૂક્યો હતો આ રીતે પોતાનો પક્ષ

– હું કોઈ જાતિની રાજનીતિ નથી કરતો છતાં પણ મારા પર ગુર્જર હોવાની વાત કેમ થોપવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 4.5 ટકા ગુર્જર છે પરંતુ મેં તો તમામ જ્ઞાતિઓને સાથે રાખીને રાજનીતિ કરી છે.

– જાતિ મહત્વ નથી રાખતી.

– મધ્યપ્રદેશમાં જાતિ મહત્વ ધરાવે છે એવું રાજકીય પંડિતો કહે છે પરંતુ ત્યાં કમલનાથને ચૂંટવામાં આવ્યા જેમની જાતિનો કોઈ મુદ્દો ન બન્યો.

– જ્યાં સુધી 2019ની લોકસભા ચૂટણીના પરિણામોની વાત છે તો ગહેલોત સાહેબ 1998માં મુખ્યપ્રધાન બન્યા બાદ 2003માં પાર્ટીને નહોતા જીતાડી શક્ંયા અને ત્યારબાદ 2008માં ફરી મુખ્યપ્રધાન બન્યા બાદ 2013 અને 2014માં પાર્ટી તળીયે પહોંચી ગઈ.

– જો ગહેલોતને રાજ્યના મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા હતી તો 2013માં હાર્યા બાદ તેઓ પ્રદેશ અધ્યક્ષ બનતાં, લડાઈ લડતાં, પરંતુ તે દિલ્હીની રાજનીતિમાં વ્યસ્ત થઈને રાજ્યને કંટ્રોલ કરવાના પ્રયત્નો શા માટે કરતા રહ્યા?

– આ સિવાય અશોક ગહેલોત વિરુદ્ધ એ પણ કહેવાયું કે તેમણે મોટી બહુમતી રોકવા માટે ઘણા બાગીઓનો સાથ આપ્યો અને પાર્ટી ઉમેદવારો માટે મુશ્કેલી પેદા કરી જેનાથી મોટો બહુમત થવા પર હાઈકમાન્ડ સચીનના પક્ષમાં નિર્ણય ન લઈ શકે.

ત્યારે સચીન પાયલટની તમામ દલીલો બાદ હવે રાહુલ ગાંધીને એ વિચારવાનું છે રાજસ્થાનનો રાજા કોને બનાવવો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલ ગાંધી આજે સાંજ સુધીમાં રાજસ્થાનમાં મુખ્યપ્રધાન કોને બનાવવા તે મામલે નિર્ણય લઈ શકે છે.