કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ રાહુલ ગાંધી ફરી ‘મંદિર-મસ્જિદને શરણે’

બેંગલુરુ- કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પણ ગુજરાત જેવી રણનીતિ અમલમાં મુકવાનો નિર્ણય કરી લીધો છે. રાહુલ ગાંધી સતત કર્ણાટકના દેવસ્થાનોની મુલાકાત લઈ રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, હાલમાં રાહુલ ગાંધી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. જ્યાં તેમણે ઉડુપિ સ્થિત નારાયણ ગુરુ મંદિરે જઈને પૂજા-અર્ચના કરી હતી. આપને જણાવી દઈએ કે, દક્ષિણ ભારતમાં કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સરકાર છે. હાલમાં જ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ લિંગાયત અને વીરશૈવ લિંગાયત સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયનો દરજ્જો આપવા કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યની કોંગ્રેસ સરકારના આ નિર્ણયની પહેલાં જ નિંદા કરી ચુકી છે.

જાણકારોનું મનીએ તો, કર્ણાટક સરકારના આ નિર્ણયનો રાજકીય પ્રભાવ જોવા મળી શકે છે. રાજકીય સમીકરણો મુજબ સિદ્ધારમૈયાનો આ નિર્ણય બન્ને સમુદાયને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાનો ‘માસ્ટર સ્ટ્રોક’ માનવામાં આવે છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં આ નિર્ણય રાજકીય આત્મહત્યા પણ પુરવાર થઈ શકે છે.