દેશમાં કોમી એખલાસના સમર્થનમાં આજે રાજઘાટ ખાતે રાહુલ ગાંધીના ઉપવાસ

નવી દિલ્હી – દેશમાં થઈ રહેલા જાતિવાદી હિંસાચારના વિરોધમાં તેમજ કોમી એખલાસને ઉત્તેજન આપવા માટે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દિલ્હીમાં મહાત્મા ગાંધીના સમાધીસ્થળ રાજઘાટ ખાતે ઉપવાસ પર બેસશે.

રાહુલના ઉપવાસને ‘સાંપ્રદાયિક સદ્દભાવના ઉપવાસ’ નામ આપવામાં આવ્યું છે.

રાહુલની સાથોસાથ દેશભરમાં કોંગ્રેસના તમામ જિલ્લા તથા પ્રદેશ સ્તરના કાર્યાલયોમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઉપવાસ પર બેસશે.

કોંગ્રેસનો આરોપ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં દલિત સમુદાયના લોકો પર અત્યાચાર કરે છે.

ગઈ 2 એપ્રિલે દલિત સંગઠનો દ્વારા પાળવામાં આવેલા ‘ભારત બંધ’ દરમિયાન થયેલી જાતિપ્રેરિત હિંસા સામે વિરોધ વ્યક્ત કરવા માટે, દલિતોના સમર્થનમાં રાહુલ ગાંધી આજે ઉપવાસ પર બેસવાના છે.

રાહુલ તથા કોંગ્રેસ પાર્ટીના આ ઉપવાસ આંદોલનને કર્ણાટકમાં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણી માટેની વ્યૂહરચનાના એક ભાગ તરીકે પણ સાંકળી શકાય.