2019નો ચૂંટણી જંગ જીતવા રાહુલ ગાંધીએ બનાવી કોર કમિટી

નવી દિલ્હી- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તૈયારી કરી લીધી છે. આ માટે રાહુલ ગાંધીએ 9 સદસ્યની કોર ગ્રૂપ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પણ આ કોર ગ્રૂપ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.આ ઉપરાંત ચૂંટણી મેનિફેસ્ટો અને પ્રચાર સમિતિ માટે પણ સદસ્યોની નીમણૂંક કરવામાં આવી છે. મેનિફેસ્ટો કમિટીમાં સલમાન ખુરશીદ અને શશી થરુર સહિત 19 મોટા નેતાઓનાં નામ છે. બીજી તરફ પબ્લિસિટી એટલે કે, પ્રચાર સમિતિમાં રાજીવ શુક્લા અને રણદીપ સુરજેવાલા સહિત 13 સદસ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોર ગ્રૂપ કમિટીના સદસ્યો

કોર ગ્રૂપ કમિટીના નવ સદસ્યોમાં એ.કે. એન્ટોની, ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ, અશોક ગહલોત, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા, કે.સી. વેણુગોપાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મેનિફેસ્ટો કમિટીના સદસ્યો

મનપ્રીત બાદલ, પી. ચિદમ્બરમ, સુસ્મિતા સેન, પ્રોફેસર રાજીવ ગૌડા, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, જયરામ રમેશ, સલમાન ખુરશીદ, બિંદુ કૃષ્ણન, શૈલજા કુમારી, રઘુવીર મીના, પ્રોફસર બાલચંદ્ર, મીનાક્ષી નટરાજન, રજની પાટિલ, સેમ પિત્રોડા, સચિન રાવ, તમદ્રવાજ સાહુ, મુકુલ સંગમા, શશી થરુર અને લલિતેશપતિ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ગત મહિને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) રચના કરી હતી. રાહુલ ગાંધીની આ ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.