તુષ્ટિકરણ નહીં, સશક્તિકરણ એજ સરકારનું લક્ષ્ય: રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણની સાથે સંસદના બજેટ સત્રની આજથી શરુઆત થઈ છે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ નાણાપ્રધાન અરુણ જેટલી વર્ષ 2017-18નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આજે બજેટ સત્ર શરુ થતાં પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ બજેટ દેશની આશાઓ અને અપેક્ષા ઉપર ખરું ઉતરનારું બની રહેશે.રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનું આ પ્રથમ બજેટ અભિભાષણ છે. રાષ્ટ્રપતિ તેમના અભિભાષણમાં સામાન્ય રીતે કેન્દ્ર સરકારની ગત વર્ષની ઉપલબ્ધિઓ રજૂ કરે છે અને આગામી નાણાકીય વર્ષ માટેનું સરકારનું આયોજન જણાવે છે. રાષ્ટ્રપતિએ તેમના અભિભાષણમાં સરકારનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે, દેશમાં તુષ્ટિકરણ નહીં, પણ દેશવાસીઓનું સશક્તિકરણ એજ સરકારનું લક્ષ્ય છે.

આપને જણાવી દઈએ કે, મોદી સરકારનું આ ચોથું પૂર્ણ બજેટ છે અને GST લાગુ થયા બાદ આ પ્રથમ બજેટ છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ હોવાથી આ બજેટને સરકારના દ્રષ્ટિકોણથી ઘણું મહત્વનું માનવામાં આવે છે. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે.

રાષ્ટ્રપતિના અભિભાષણના કેટલાંક મહત્વના મુદ્દા

કેન્દ્ર સરકાર દેશના નબળા વર્ગ માટે સમર્પિત છે

જનધન યોજનાથી 31 કરોડ ગરીબ લોકોના બેન્કમાં ખાતા ખુલ્યા

દેશની આર્થિક સંસ્થાઓને વધુ મજબૂત કરવામાં આવી

વિશ્વમાં ભારતનું સન્માન અને મહત્વ વધ્યું

વર્ષ 2019 સુધીમાં સ્વચ્છ ભારતનું કાર્ય પૂર્ણ કરી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપશું

પ્રધાનમંત્રી રોજગાર યોજનાઓમાં 10 કરોડ લોકોને લાભ મળ્યો

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 82 ટકા ગામને જોડવામાં આવ્યા

તુષ્ટિકરણ નહીં, સશક્તિકરણ એજ સરકારનું લક્ષ્ય