મેહુલ ચોક્સીની ધરપકડ કરોઃ ભારતની એન્ટિગ્વાને વિનંતી

નવી દિલ્હી – ભારત સરકારે એન્ટિગ્વા અને બાર્બુડા ટાપુરાષ્ટ્રની સરકારને વિનંતી કરી છે કે તે મેહુલ ચોક્સીની ધરપકડ કરે જે ભારતમાં પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી કેસમાં આરોપી છે. ચોક્સીને તમારા દેશમાંથી જતા રોકજો એવું પણ ભારત સરકારે એન્ટિગ્વાને કહ્યું છે.

સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ, વિદેશ મંત્રાલયે એન્ટિગ્વા અને બાર્બુડાની સરકારને કહ્યું છે કે ચોક્સી તમારા દેશમાં છે કે નહીં એ તપાસ કરો.

એન્ટિગ્વા અને બાર્બુડા સ્થિત ભારતીય હાઈકમિશનર આજે ત્યાંના સત્તાવાળાઓને મળવાના છે. અમે એન્ટિગ્વા અને બાર્બુડાની સરકાર તથા એની તપાસ એજન્સીઓના સંપર્કમાં છીએ.

ચોક્સી અને એમના હીરાના ઉદ્યોગપતિ ભાણેજ નીરવ મોદીને રૂ. 13,500 કરોડના પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી કેસમાં વોન્ટેડ ઘોષિત કરવામાં આવ્યા છે. ચોક્સીએ કબૂલ કર્યું છે કે એમણે ગયા વર્ષે એન્ટિગ્વાનું નાગરિકત્વ મેળવ્યું હતું.