‘બટેટામાંથી સોનું કાઢનારા’ આજે ખેડૂતોની વાતો કરે છે: કર્ણાટકમાં પીએમ મોદી

કર્ણાટક- કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમા પર પહોંચ્યો છે. આજે પીએમ નરેન્દ્ર મોદી ચાર જનસભાને સંબોધન કરશે. જેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બી.એસ. યેદુરપ્પાની બેઠક શિમોગાના શિકારપુરાનો પણ સમાવેશ થાય છે.પીએમ નરેન્દ્ર મોદીએ તેમની રેલીમાં નામ લીધા વગર રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું કે, કોંગ્રેસ ઈન્દિરા ગાંધીના સમયથી ગરીબી હટાવોનું કહેતી આવી છે. કોંગ્રેસ પાર્ટીએ જનતાને માત્ર મુર્ખ બનાવ્યા અને ચૂંટણીઓ જીતવા જ ગરીબની માળા જપે છે. કોંગ્રેસના લીડર કે જેમને લાલ મરચા કે લીલા મરચાની ખબર નથી, બટેટામાંથી સોનું કાઢવાની વાતો કરે છે, તેઓ આજે ખેડૂતોની વાતો કરી રહ્યાં છે.

પીએમ મોદીએ તેમના ભાષણની શરુઆતમાં જ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરતાં કહ્યું કે, અમે કોંગ્રેસના કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યાં છીએ. કોંગ્રેસે આ વિસ્તારને વિજળી માટે તરસાવ્યો. આ વિસ્તારના વિકાસ માટે અમારી સરકારે મોટી ઝુંબેશ ચલાવી છે. આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સરકારમાં હતી. તો તેણે જનતાના વિકાસ માટે કેમ કંઈ કામ ન કર્યું? દેશનો ખેડૂત દેવાના બોજ હેઠળ દબાયેલો જ રહ્યો. ખેડુતોએ આત્મહત્યા કરવી પડી. કોંગ્રેસે ખેડૂતો માટે કંઈક કર્યું હોત તો દેશનો ખેડૂત માટીમાંથી સોનું ઉગાડવાની તાકાત ધરાવે છે. એના બદલે કોંગ્રેસના નેતા બટેટામાંથી સોનું કાઢવાની વાતો કરે છે.