15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા ઝૂંબેશ પાર્ટ-2’ની શરુઆત કરશે પીએમ મોદી

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત ઝુંબેશ પાર્ટ-2 શરુ કરવા જઈ રહ્યાં છે. આ ઝુંબેશનું નામ ‘સ્વચ્છતા સેવા ઝુંબેશ’ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બધા લોકોને આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી છે. આગામી 15 સપ્ટેમ્બરથી શરુ થનારી આ સ્વચ્છતા ઝુંબેશ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી ચાલશે.ચાર વર્ષ પહેલાં 2 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીએ દેશમાં સ્વચ્છતા ઝુંબેશની શરુઆત કરી હતી. જેને આગામી 2 ઓક્ટોબરે ચાર વર્ષ પુરા થશે. ઉપરાંત આ વર્ષે ગાંધીજીની 150મી જયંતિની પણ શરુઆત થશે. જેને અનુલક્ષીને વડાપ્રધાન મોદી આગામી 15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા ઝુંબેશ પાર્ટ-2’ની સવારે 9:30 કલાકથી શરુઆત કરશે.

આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા ઝુંબેશ સાથે જોડાયેલા લોકો સાથે પણ મુલાકાત કરશે. ઝુંબેશ દરમિયાન સ્કૂલ અને સરકારી વિભાગોના અધિકારીઓ ઉપરાંત જન પ્રતિનિધિઓ તેમજ વિખ્યાત લોકો અને સામાજીક સંસ્થઆઓની સ્વચ્છતા ઝુંબેશમાં જવાબદારી નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જીલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા આ ઝુંબેશની કાર્ય યોજનાનો સંપૂર્ણ ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.