પેલેસ્ટાઈને તેના રાજદૂત પર કરી કાર્યવાહી, હાફિઝને મળવા બદલ પરત બોલાવ્યા

નવી દિલ્હી- પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઈદ સાથે રેલીમાં એક મંચ ઉપર દેખાયા બાદ ભારતે પેલેસ્ટાઈનના રાજદૂત અંગે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. આપને જણાવી દઈએ કે, હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. જેની રેલીમાં પોતાના રાજદૂતના સામેલ થવા પર ભારતે વિરોધ કર્યા બાદ પેલેસ્ટાઇને માફી માંગી છે.

ભારતે કડક વલણ અપનાવ્યાં બાદ પેલેસ્ટાઇને જણાવ્યું કે, આ ઘટનાને તેઓ ગંભીર મુદ્દો માની રહ્યાં છે. ઉપરાંત પેલેસ્ટાઈને ભારતને કહ્યું છે કે, ભારત સાથેના પોતાના સંબંધોને પેલેસ્ટાઈન વધુ મહત્વ આપે છે અને આતંક સામેની લડાઈમાં પણ પેલેસ્ટાઈન ભારતની સાથે છે.

ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્રએ પણ આતંકી જાહેર કર્યો છે. પેલેસ્ટાઈન સરકારે જણાવ્યું છે કે, હાફિઝની રેલીમાં પોતાના રાજદૂતની હાજરીની નોંધ ગંભીરતાથી લેવામાં આવી છે, અને આ અંગે પેલેસ્ટાઈન કડક પગલા લેશે.

પેલેસ્ટાઈનના શત્રુ દેશ ઈઝરાયલે પણ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી સ્થિત ઈઝરાયેલ એમ્બસીમાં પબ્લિક ડિપ્લોમસીના પ્રમુખે ટ્વીટ કરીને કટાક્ષ કરતાં જણાવ્યું કે, પેલેસ્ટાઈનના રાજદૂત કેટલી ચાર્મિંગ કંપની ધરાવે છે.