આર્મીની પાક.ને ચેતવણી, કહ્યું LoC પર દરેક પડકારનો સામનો કરવા તૈયાર

શ્રીનગર- ભારતીય સેનાએ પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું છે કે, સરહદ ઉપર કોઈ પણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. આ ચેતવણી ભારતીય સેનાના ઉત્તરી કમાંડના લેફ્ટનેન્ટ જનરલ રણબીર સિંહે આપી છે.આજે કારગિલ વિજય દિવસના અવસરે લેફ્ટનેન્ટ જનરલ રણબીર સિંહે ભારતીય સેનાને સંબોધન કરવા દરમિયાન ઉપરોક્ત ચેતવણી ઉચ્ચારી હતી. જનરલ રણબીર સિંહે કહ્યું કે, ‘એ પાકિસ્તાનના લોકોએ નક્કી કરવાનું હતું કે તેઓ પોતાના દેશમાં કોની સરકાર ચૂંટશે. પણ અમે અમારા દેશવાસીઓને ખાતરી આપીએ છીએ કે, અમે લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પર પાકિસ્તાન તરફથી આવતા કોઈપણ પડકારને પહોંચવા સક્ષમ છીએ’.

વધુમાં લેફ્ટનેન્ટ જનરલ રણબીર સિંઘે એમ પણ જણાવ્યું કે, વર્ષ 1999માં કારગિલના યુદ્ધ બાદથી રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. આજના દિવસે વર્ષ 1999માં ભારતે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે એની યાદમાં દેશ કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. અને સમગ્ર દેશમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા દેશના વીર સપુતોને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.