મોટરવાહન સુધારા ખરડો: અકસ્માતના મૃતકનાં પરિવારને રૂ. પાંચ લાખના વળતરનો પ્રસ્તાવ

નવી દિલ્હી – કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ મોટર વેહિકલ્સ (સુધારા) ખરડો આજે લોકસભામાં રજૂ કરી દીધો છે. આ ખરડામાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી ઘડવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ સગીર વયની વ્યક્તિઓ જો વાહન હંકારીને અકસ્માત કરે તો એના વાલીઓને જવાબદાર ઠેરવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ ખરડો અગાઉ લોકસભામાં મંજૂર કરી દેવાયો હતો, પણ રાજ્યસભાએ મંજૂરી આપી નહોતી. તેથી રાજસ્થાનના તે વખતના પરિવહન પ્રધાનના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી સમિતિએ એમાં અમુક સુધારા દર્શાવ્યા હતા. એ સમિતિમાં 18 રાજ્યોના પરિવહન પ્રધાનોનો સમાવેશ કરાયો હતો.

મોટર વેહિકલ્સ સુધારા ખરડાની અમુક જોગવાઈઓ આ મુજબ છેઃ

  • દારૂ પીને વાહન હંકારનારને 10 હજાર રૂપિયાનો દંડ કરવો જે રકમ હાલ 2000 રૂ. છે. જ્યારે બેફામ રીતે વાહન હંકારનારને રૂ. 5000નો દંડ કરવો.

  • સીટ બેલ્ટ ન બાંધનારને 10 હજાર રૂપિયાનો દંડ
  • પોલિસી વગર વાહન ચલાવનારને 2 હજાર રૂપિયાનો દંડ
  • હેલ્મેટ વગર વાહન હંકારનારને 1000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે એનું લાઈસન્સ રદ કરવું
  • માલસામાન તથા પ્રવાસીઓના ટ્રાન્સપોર્ટેશન માટે માર્ગદર્શિકા નક્કી કરતી રાષ્ટ્રીય પરિવહન નીતિ ઘડવાનો પ્રસ્તાવ છે
  • અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનાં નિકટનાં પરિજનને વળતર રૂપે પાંચ લાખ રૂપિયા ચૂકવવાની તેમજ ગંભીર રીતે ઈજા પામનારને અઢી લાખ રૂપિયા ચૂકવવાની જોગવાઈ છે

ગડકરીએ કહ્યું કે નવો ખરડો કાયદો બને ત્યારે એનો અમલ કરવાની રાજ્યો પર જબરદસ્તી નહીં રહે. તેઓ એમની મરજી મુજબ એને લાગુ કરી શકશે. કેન્દ્ર સરકાર આ બાબતમાં રાજ્યોનો અધિકાર નહીં છીનવે.

ગડકરીએ સભ્યોને વિનંતી કરી હતી કે તેઓ આ ખરડાને પાસ કરી દે, કારણ કે દેશમાં દર વર્ષે રોડ અકસ્માતોને કારણે લાખો લોકોનાં જાન જાય છે. દર વર્ષે રોડ અકસ્માતોમાં પાંચ લાખથી વધારે લોકો ઘાયલ થાય છે.