નીરવ મોદી બ્રિટન પલાયન થયાનો, ત્યાં રાજકીય આશ્રય માગ્યો હોવાનો અહેવાલ

નવી દિલ્હી – ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ડાયમંડ બિઝનેસના મહારથી અને પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી નીરવ મોદી બ્રિટન ભાગી ગયા છે અને ત્યાં એમણે રાજકીય આશ્રય માગ્યો છે.

જોકે નીરવ મોદી તરફથી કે બ્રિટનના ગૃહ મંત્રાલય તરફથી આ વિશે કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

નીરવ મોદી ભારતની બીજા નંબરની સૌથી મોટી રાષ્ટ્રીય બેન્ક પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલી 2.2 અબજ ડોલરની છેતરપીંડીના કેસમાં આરોપી છે.

નવી દિલ્હીમાં નીરવ મોદીના જ્વેલરી શોરૂમની ફાઈલ તસવીર

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટનની સરકારને વિધિવત્ વિનંતી કરતા પહેલાં ભારત સરકાર કાયદાકીય એજન્સીઓ તરફથી રિપોર્ટ મળવાની રાહ જોઈ રહી છે.