આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, NIAના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હિંદુઓના પણ નામ….

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ તેમના ભાષણમાં કહ્યું કે, હિંદુ કયારેય પણ આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા નથી હોતાં. પરંતુ વડાપ્રધાનનો આ દાવો રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAના દાવા સાથે મેળ નથી ખાતો, કારણ કે, NIAના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઘણા હિંદુ આરોપીઓ પણ સામેલ છે.

 

હક્કીકતમાં NIAની વેબસાઈટ આતંક સંબંધિત મામલાઓ માટે મોસ્ટ વોન્ટેડ લિસ્ટ સેક્શન આપવામાં આવ્યું છે, જેમાં જૂદા જૂદા ધર્મોના આરોપીઓના નામ સામેલ છે, પછી ભલે તે હિંદુ, મુસ્લિમ કે ઈસાઈ હોય. અને હવે વાત જ્યારે ઈનામની આવે છે તો, આમાંથી કેટલાક માઓવાદીઓ અને નક્સલીઓ પર ઈસ્લામી આતંકીઓની તુલનામાં રાખવામાં આવેલી ઈનામની રકમ ઘણી વધુ છે.

માઓવાદી નેતા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિ પર ઈનામની રકમ સૌથી વધુ 15 લાખ રૂપિયા છે. આ પ્રથમ શ્રેણીનો આતંકી છે. એનઆઈએ અનુસાર આરોપી રામચંદ્ર કાલસાંગરા અને સંદીપ ડાંગે પણ આતંકવાદી ગેંગનો ભાગ છે, જે સમજોતા એક્સપ્રેસ ટ્રેન વિસ્ફોટ અને અજમેરમાં મક્કા મસ્જિદ બ્લાસ્ટ મામલે મોસ્ટ વોન્ટેડ છે. આ બંન્ને NIAની બીજી ઉચ્ચતમ શ્રેણીમાં આવે છે. આ બંન્ને પર પણ 10-10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ છે. આ લોકો સામે ઈન્ટર પોલે હથિયારો અને વિસ્ફોટકનો ઉપયોગ કરવા સંબંધિત મામલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

આતંકી મામલામાં NIA અન્ય એક હિંદુ વ્યક્તિની શોધમાં છે, જેનું નામ સોમરાજ જય પ્રકાશ ઉર્ફે અન્ના છે. તેમના પર 2009માં ગોવાના મારગાંવમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો આરોપ છે. આ મામલે અન્ય એક આરોપી રુદ્ર પાટિલનું નામ પણ સામેલ છે, જે હાલ ફરાર છે. આ બંનેના નામે પણ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

એવી જ રીતે બ્રિજ કિશોર ગિરી નામના એક આરોપી પર મોતિહારીમાં રેલવે ટ્રેક પર પ્રેશર કુકર બોમ્બ લગાવવાનો કેસ ચાલી રહ્યો છે. એટલું જ નહીં આ મામલે મોતિહારી પોલિસે અન્ય ત્રણ લોકો મોતી લાલ પાસવાન, ઉમાશંકર પટેલ અને મુકેશ યાદવની પણ ધરપકડ કરી છે.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હિંદુ આતંકવાદી શબ્દ ઘડવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ આ આરોપી એનડીએ સરકાર દરમિયાન જ છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણપંથી, ચરમપંથી ગતિવિધિઓ માટે એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહ્યાં છે. આ ઉપરાંત કેટલાક હિંદુ માઓવાદી આતંકી મામલે અને નોર્થ ઈસ્ટમાં ફેલાયેલા ઉગ્રવાદના મામલે વોન્ટેડ છે.