જમ્મૂ-કાશ્મીરઃ ઓપરેશન ઓલ આઉટમાં આ વર્ષે સેનાએ 232 આતંકી ઠાર કર્યા

નવી દિલ્હીઃ વર્ષ 2018 આતંકવાદીઓ માટે કાળ બનીને વીતી રહ્યું છે. ઓપરેશન ઓલ આઉટમાં જમ્મૂ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોએ 232 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. તો આ સાથે જ પત્થરબાજીની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે 25 જૂનથી 14 સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળામાં આશરે 51 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે તો 15 સપ્ટેમ્બર થી 5 ડિસેમ્બર વચ્ચે 85 જેટલા આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 232 આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે વિદેશિઓ સહિત 240 આતંકવાદી કાશ્મીર ઘાટીમાં સક્રિય છે. આ વર્ષે 25 જૂનથી 14 સપ્ટેમ્બર વચ્ચે પત્થરમારાની ઘટનાઓમાં સુરક્ષા કર્મચારીઓ સહિત આંઠ લોકોના જીવ ગયા છે અને જવાનો સહિત 216 અન્ય ઘાયલ થયા છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે 19 જૂનના રોજ રાજ્યપાલ શાસન લાગુ થયા બાદથી કાશ્મીર ઘાટીની સુરક્ષા સ્થિતીમાં સુધારો આવ્યો છે.