આંધ્ર પ્રદેશમાં વિધાનસભ્ય, ભૂતપૂર્વ વિધાનસભ્યની નક્સલવાદીઓએ હત્યા કરી

હૈદરાબાદ – આંધ્ર પ્રદેશના વિશાખાપટનમના વિધાનસભ્ય કિદારી સર્વેશ્વરા રાવ અને આ જ મતવિસ્તારના ભૂતપૂર્વ વિધાનસભ્ય સિવેરી સોમાને આજે નક્સલવાદીઓએ ઠાર કર્યા હતા.

આ બંને નેતા શાસક તેલુગુ દેસમ પાર્ટીના હતા. રાવ 45 વર્ષના અને સોમા 52 વર્ષના હતા.

તેઓ એમના કેટલાક સમર્થકોની સાથે આદિવાસી વિસ્તારમાં આવેલા અરાકુ વેલી ખાતે ગયા હતા અને ત્યાંના સમારંભમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો. હથિયારધારી માઓવાદી નક્સલવાદીઓએ એમને આંતર્યા હતા. અન્ય લોકોને ચાલ્યા જવાનું કહ્યા બાદ નક્સલવાદીઓએ રાવ અને સોમા પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. બંને જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

હુમલામાં 50થી વધુ નક્સલવાદીઓ સંડોવાયા હોવાનું કહેવાય છે.

આ બંને નેતાને ભૂતકાળમાં નક્સલવાદીઓ તરફથી ધમકી આપવામાં આવી હતી.