કશ્મીરમાં લશ્કરી કેમ્પ પર ત્રાસવાદીઓનો હુમલો; જવાન, નાગરિકનું મરણ

શ્રીનગર – દક્ષિણ કશ્મીરના ઉગ્રવાદ-ગ્રસ્ત પુલવામા જિલ્લામાં એક લશ્કરી છાવણી પર ત્રાસવાદીઓએ ગઈ મોડી રાતે હુમલો કર્યો હતો જેમાં એક સૈનિક અને એક નાગરિકનું મૃત્યુ નિપજ્યું છે.

રમઝાનના પવિત્ર મહિના દરમિયાન લશ્કરી કાર્યવાહી બંધ રાખવાની કેન્દ્ર સરકારે જાહેરાત કર્યા બાદ ત્રાસવાદીઓએ આ પહેલો હુમલો કર્યો છે.

પોલીસનું કહેવું છે કે ત્રાસવાદીઓએ પુલવામા જિલ્લાના કાકાપોરા ખાતે 50-રાષ્ટ્રીય રાઈફલ્સની છાવણી પર હુમલો કર્યો હતો જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ત્રાસવાદીઓ અને ભારતીય જવાનો વચ્ચેના ગોળીબારમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો જેનું નામ છે બિલાલ એહમદ.

એહમદ અને ઘાયલ જવાનને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં બંને જણ ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા.

પુલવામા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે.