મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ: અસીમાનંદ સહિત તમામ આરોપી દોષમુક્ત

હૈદરાબાદ- વર્ષ 2007માં હૈદરાબાદના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં NIAની વિશેષ અદાલતે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે. NIA કોર્ટમાં મુખ્ય આરોપી અસીમાનંદ સહિત પાંચ આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા સાબિત થઈ શક્યા નહતા. જેથી કોર્ટે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે.આપને જણાવી દઈએ કે, આ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે 58થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં નબાકુમાર સરકાર ઉર્ફે અસીમાનંદનું નામ પણ સામેલ હતું. જે 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાંથી અસીમાનંદ અને ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરત જામીન પર હતા. જ્યારે અન્ય ત્રણ આરોપી જેલમાં બંધ છે.

આ કેસની શરુઆતની તપાસ હૈદરાબાદ પોલીસે કરી હતી. જોકે બાદમાં આ કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને વર્ષ 2011માં NIAને સોંપવામાં આવ્યો હતો. આ મામલામાં કુલ 160 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાંથી 54 સાક્ષીઓ તેમના નિવેદનથી ફરી ગયા હતા. મસ્જિદ બ્લાસ્ટ કેસમાં અન્ય બે આરોપી સંદીપ ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજી પણ ફરાર છે.