પીએમ મોદીની હત્યાનું કાવતરું: સંડોવણીની શંકા પરથી હૈદરાબાદમાં માઓવાદી નેતાની ધરપકડ

હૈદરાબાદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ઘડવામાં આવેલા એક કાવતરામાં કથિત સંડોવણી બદલ સામ્યવાદી, માઓવાદી નેતા, કવિ, પત્રકાર લેખક પી. વરવરા રાવની એમના અત્રેના નિવાસસ્થાનેથી આજે ધરપકડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના પુણે શહેરની પોલીસે રાવના અત્રેના નિવાસસ્થાન તથા એમના પરિવારજનો તથા મિત્રોના નિવાસસ્થાને દરોડા પાડ્યા એમની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ હવે રાવને પૂછપરછ માટે પુણે લઈ જશે.

માઓવાદી સંપર્કો માટે પુણે પોલીસે આજે સવારે દેશભરમાં 9 માઓવાદી કાર્યકરોને ત્યાં દરોડા પાડ્યા હતા અને રાવ સહિત પાંચ જણની ધરપકડ કરી છે.

પોલીસે ગયા જૂન મહિનામાં ઝડતીઓ દરમિયાન એક પત્ર કબજે કર્યો હતો એમાં 78 વર્ષના વરવરા રાવનું નામ હતું. એના પરથી મોદીની હત્યાના કાવતરામાં એમની સંડોવણી પર શંકા ગઈ છે.