કર્ણાટકમાં પીએમ મોદીનું ખેડૂતોને સંબોધન, સિદ્ધારમૈયા સરકારને કારણે યોજનાઓ અટકી

બેંગલુરુ- પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ખેડૂત મોરચા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કામ કરી રહી છે. અમારી સરકારે અત્યાર સુધીમાં જેટલા બજેટ રજૂ કર્યા છે તેમાં ખેડૂત કેન્દ્ર સ્થાને રહ્યો છે.પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂત અનુલક્ષી કાર્યક્રમ કરી રહી છે પરંતુ કર્ણાટકની કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર તેને પ્રોત્સાહન નથી આપી રહી. અમારી સરકારની નીતિઓ કૃષિ અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને જોડાયેલી છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની શરુઆત કરી હતી. મંગળવારે પીએમ મોદીએ કર્ણાટકમાં ત્રણ રેલીને સંબોધન કર્યું હતું.

ખેડૂત કાર્યકર્તાઓ સાથે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, અમારી સરકારે દેશભરમાં ખેડૂતોને સોયલ હેલ્થ કાર્ડ આપ્યા છે. જો ફક્ત કર્ણાટકની વાત કરીએ તો અહીં 1 કરોડથી વધુ સોયલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. ખેડૂતોને બિયારણ સરળતાથી મળી રહ્યું છે. ઉપરાંત નવી ટેકનોલોજી દ્વારા ખેતીના નવા ઉપાયો પણ શિખવાડવામાં આવી રહ્યાં છે.