તો આ રીતે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે ભાજપ

બેંગાલુરુ- સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યાં બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધાં છે. જોકે યેદિયુરપ્પાનો સાચો ‘એસિડ ટેસ્ટ’ તો હવે શરુ થશે. યેદિયુરપ્પાને 15 દિવસમાં બહુમત સાબિત કરવું પડશે જેના માટે ભાજપ પાસે 8 ધારાસભ્યો ઓછાં છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં બહુમત સાબિત કરવું તે યેદુયુરપ્પા સરકાર માટે મોટો પડકાર છે. કર્ણાટક વિધાનસભાની 222 બેઠકો પર આવેલાં પરિણામમાં ભાજપને 104 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને 78, JDSને 37, બસપાને 1 અને અન્યને 2 બેઠક મળી છે.શું છે બહુમતિ સાબિત કરવા ભાજપનું ગણિત?

બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. હવે બહુમત સાબિત કરવા એક વિકલ્પ એ છે કે સુપ્રીમ કોર્ટની સમયાવધી પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવે અને પોતાનું બહુમત સાબિત કરે. જોકે, આ રણનીતિમાં ભાજપ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે કોંગ્રેસ અને JDSના 18થી વધુ ધારાસભ્યો ફ્લોર ટેસ્ટ સમયે ગૃહમાં ગેરહાજર રહે. એ સિવાય ભાજપના બધા ધારાસભ્યો ગૃહમાં હાજર રહે અને પાર્ટીના પક્ષમાં જ મતદાન કરે. આ રીતે યેદિયુરપ્પા પોતાની ખુરશી બચાવી શકે છે.

મળતી માહિતી મુજબ બહુમત મેળવવા ભાજપે અપક્ષના બે અને બસપાના એક ધારાસભ્યને મનાવવાના પ્રયાસ શરુ કરી દીધાં છે. જો આ ત્રણેય ધારાસભ્યોનું સમર્થન ભાજપને મળે તો ભાજપનો આંક 107 સુધી પહોંચી જશે. આ સિવાય JDSના ચીફ એચ.ડી. કુમારસ્વામી બે બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને બન્ને પર તેમનો વિજય થયો છે ત્યારે એક બેઠક ખાલી કરવા ભાજપ દબાણ કરશે. જેથી બહુમતનો આંકડો ઓછો થશે.

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠક છે પરંતુ 222 બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આવી હતી. જે બે બેઠક બાકી છે જો તેનું પરિણામ પણ જો ભાજપ તરફી આવે તો પાર્ટીની બેઠકોનો કુલ આંક 109 પર પહોંચી જશે.