ભાજપના ‘કોંગ્રેસ મુક્ત ભારત’માં કર્ણાટકનો પણ સમાવેશ થયો

બેંગાલુરુ- કર્ણાટકની ચૂંટણીના પરિણામમાં ભારે ઉતાર-ચઢાવ બાદ આખરે 10 જેટલી બેઠકોના અંતરથી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતિ મેળવવાથી વંચિત રહી હતી. જોકે હાલ તો સૌથી મોટી પાર્ટી તરીકે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું નિમંત્રણ અપાયા બાદ યેદિપુરપ્પાને આજે કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લઈ લીધાં છે. જોકે હવે ભાજપ અને યેદિયુરપ્પા માટે બહુમત સાબિત કરવાનો નવો પડકાર છે. દેશના રાજકારણની વર્તમાન સ્થિતિ જોઈએ તો, દેશના કુલ 29 રાજ્યના 4120 ધારાસભ્યોમાંથી હાલના પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીના કુલ ધારાસભ્યોની સંખ્યા 5,121 થવા જાય છે. બીજી તરફ દેશમાં કોંગ્રેસના કુલ ધારાસભ્યોની સંખ્યા 729 થઈ ગઈ છે. કોંગ્રેસ હવે દેશમાં બે રાજ્ય પુરતી મર્યાદિત રહી છે.

ભાજપની વાત કરીએ તો, દેશના કુલ ધારાસભ્યોના 37 ટકા સદસ્યો ભાજપ પાસે છે અને ભારતીય જનતા પાર્ટીએ એકલે હાથે દેશના 14 રાજ્યોમાં સત્તાના સૂત્રો પોતાના હાથમાં રાખ્યા છે. જ્યારે કર્ણાટક મળીને હવે 7 રાજ્યોમાં ભાજપના ધારાસભ્યોએ રાજ્યમાં સરકાર રચવામાં ભાગીદારી નોંધાવી છે. મહત્વનું છે કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા જો કર્ણાટકની હાથમાં આવેલી સત્તા જો ભાજપ પાસેથી સરકી ગઈ હોત તો, ભાજપ માટે આ મનોબળ તૂટવા જેવી વાત થઈ હોત.

આ ઘટનાક્રમ વચ્ચે ગત રાત્રે રાજ્યપાલે ભાજપના યેદિયુરપ્પાને રાજ્યમાં સરકાર રચવા નિમંત્રણ પાઠવ્યું હતુંં. જેથી હવે કર્ણાટક પણ કોંગ્રેસ પાસેથી છીનવીને ભાજપના હાથમાં આવી ગયું છે.