જમ્મુકશ્મીર પ્રશાસનની સુપ્રીમને અપીલ, તિહાડ ટ્રાન્સફર કરો 7 પાકિસ્તાની આતંકી

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરની જેલમાં બંધ સાત આતંકવાદીઓને જમ્મૂ કાશ્મીરથી દિલ્હી તિહાડ જેલમાં સ્થાનાંતરિત કરવાને લઈને પ્રશાસન ઉચ્ચતમ ન્યાયાલય પાસે પહોંચ્યું છે. એક અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મૂક્શ્મીર જેલમાં બંધ કેદીઓને આ કેદીઓ ઉશ્કેરણી કરે છે. જમ્મૂ-કાશ્મીર સરકારની અરજી પર ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર અને ન્યાયમૂર્તિ એમ આર શાહની પીઠે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

જમ્મુકશ્મીર પ્રશાસન તરફથી વકીલ શોએબ આલમે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર જેલમાં બંધ અલગઅલગ સંગઠનો ના આતંકીઓને જમ્મૂ-કાશ્મીર બહાર શિફ્ટ કરવાની જરુરિયાત છે. તેમના ત્યાં રહેવાથી કાશ્મીરી કેદીઓનું બ્રેઈનવોશ થાય છે. તિહાડમાં શક્ય ન હોય તો તેમને પંજાબ અને હરિયાણામાં શિફ્ટ કરી શકાય છે.

જમ્મુકશ્મીર પ્રશાસને આ કેસ દિલ્હીની કોર્ટમાં સ્થાનાંતરિત કરવાનો અનુરોધ કર્યો છે કારણ કે તેને આતંકીને કોર્ટ લઈ જવામાં અને પાછો લાવવા દરમિયાન તેની સુરક્ષામાં તહેનાત પોલિસકર્મીઓ અને સામાન્ય જનતાને ખતરો ઉભો થવાની આશંકા છે. રાજ્ય સરકારના વકીલે ગત વર્ષે પોલીસ દળ પર થયેલા હુમલાનું ઉદાહરણ આપતાં કહ્યું કે આતંકીને હોસ્પિટલ લઈ જતાં સમયે થયેલાં હુમલામાં પોલીસકર્મી માર્યા ગયાં હતાં અને પાકિસ્તાની આતંકી કેદીને છોડાવી લીધો હતો.

આ મામલે કોર્ટનું કહેવું છે કે તે આ મામલે સુનાવણી કરશે અને તે પાકિસ્તાની આતંકીઓને પણ નોટીસ પહોંચાડી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા અને ત્યારબાદ જમ્મુકશ્મીર પ્રશાસને સુપ્રીમ કોર્ટથી લશ્કર એ તૈયબાના આતંકી જાહીદ ફારુકને સ્થાનાંતરિત કરવા માટે કહ્યું હતું. ફારુકને 19 મે 2016ના રોજ બોર્ડર પાર કરતાં પકડવામાં આવ્યો હતો.