ઘાસચારા કૌભાંડ: લાલૂ પ્રસાદના જામીનમાં એક સપ્તાહનો વધારો

પટણા- ઝારખંડ હાઈકોર્ટે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવની વચગાળાની જામીન અરજી એક સપ્તાહ સુધી વધારી દીધી છે. જસ્ટિસ અપરેશ કુમાર સિંહની બેન્ચે RJD નેતાના વચગળાના જામીનની અરજી વધારતાં જણાવ્યું કે, લાલૂ પ્રસાદની જામીન અરજી પર આગામી સુનાવણી 24 ઓગસ્ટે કરવામાં આવશે.સુનાવણી દરમિયાન અદાલતે લાલુપ્રસાદના વકીલની એ દલીલનો સ્વીકાર કર્યો હતો, જેમાં લાલુપ્રસાદના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, RJD નેતાને યોગ્ય સારવાર માટે વધારે સમયની જરુર છે. ત્યારબાદ અદાલતે લાલુ પ્રસાદ યાદવને આપવામાં આવેલી વચગાળાની જામીનની સમય મર્યાદા એક અઠવાડિયા સુધી વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા લાલૂ પ્રસાદને 20 ઓગસ્ટ સુધીના વચગાળાના જામીન મળ્યાં હતાં.

કોર્ટે લાલૂ પ્રસાદ યાદવને સારવાર માટે દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજીની સુનાવણી વખતે ગત 11 મેના રોજ છ અઠવાડિયા માટે તેના વચગાળાના જામીન મંજૂર કર્યા હતાં. જેની સમય મર્યાદા બાદમાં સમયાંતરે વધારવામાં આવી હતી.

જોકે દેવઘર કોષાગારના કેસમાં અદાલતે લાલુપ્રસાદ યાદવની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. અને જણાવ્યું હતું કે, તેમના વિરુદ્ધ ફોજદારી કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને આ કેસમાં જામીન આપી શકાય નહીં.