INS વિક્રમાદિત્ય પર આગ લાગી, એક નેવી ઓફિસરનું મોત, વોર શિપને…

નવી દિલ્હી- કર્ણાટકના કારવારથી એક દુ:ખદ સમાચાર મળી રહ્યાં છે. અહીં એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય પર આગ લાગવાને કારણે લેફ્ટનન્ટ કમાન્ડર રેંકના એક ઓફિસર ડીએસ ચૌહાણ શહીદ થઈ ગયાં છે. આ ઘટના શુક્રવારે એવા સમયે ઘટી હતી જ્યારે આઈએનએસ વિક્રમાદિત્ય પોર્ટ પર દાખલ થઈ રહ્યું હતું. કેટલીક મિનિટો પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વોરશિપને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું.

આ ઘટનામાં લેફ્ટનન્ટ કમાન્ડર ડી.એસ ચૌહાણે તેમનો જીવ ગુમાવ્યો છે. ઘટના કયા કારણે થઈ તેની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. નેવી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લેફ્ટનન્ટ કામાન્ડર ચૌહાણે બહાદુરથી પૂર્વક ફાયરફાઈટર્સને લીડ કર્યું. તેમના કારણે જ આગ પર કાબૂ મેળવી શકાયો. ધૂમાડાને કારણે તે બેભાન થઈ ગયા હતાં. તેમને નેવીની હોસ્પિટલ આઈએનએચએસ પતંજલિ ખાતે લઈ જવામાં આવ્યાં પરતું અહીં તેમણે દમ તોડી દીઘો હતો.

આઈએનએસ વિક્રમાદિત્યને આઈએનએસ ગોર્શકોવના નામે પણ ઓળખવામાં આવે છે. 2.35 બિલિયન ડોલરની ડીલ સાથે ભારતે આ યુદ્ધજહાજને રશિયા પાસેથી ખરીદ્યું હતું. આઈએનએસ વિક્રમાદિત્યને ભારતે 20 જાન્યુઆરી 2004માં ખરીદ્યું હતું. આ શિપે જૂલાઈ 2013માં તેમના તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં હતાં. વર્ષ 2014થી આ યુદ્ધજહાજ સત્તાવાર રીતે ઈન્ડિયન નેવીનો હિસ્સો છે, અને તેનું બેઝ કર્ણાટકના કારવાર જિલ્લામાં છે.

સરકાર તરફથી દુર્ઘટનાને લઇને તપાસના આદેશો આપવામાં આવ્યાં છે.