નેપાળની સ્થિરતા અને વિકાસ માટે ભારત સહયોગ કરશે: રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, નેપાળની પ્રાથમિકતાને અનુરુપ ભારત તેને સહયોગ કરવા તત્પર છે. નેપાળ ભારતનો પાડોશી અને મિત્ર દેશ છે. તેથી નેપાળની સ્થિરતા અને આર્થિક પ્રગતિમાં ભારત હંમેશા સહભાગી રહેશે.ભારતના રાજકીય પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વાગત કર્યું હતું. અને બન્ને મહાનુભાવો વચ્ચે બેઠક પણ યોજી હતી. આ દરમિયાન રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, નેપાળના વિકાસ ભારત મહત્વનું યોગદાન આપશે. આપને જણાવી દઈએ કે, બીજી વખત નેપાળના વડાપ્રધાન બન્યા બાદ કેપી શર્મા ઓલીની આ પ્રથમ વિદેશ યાત્રા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં નેપાળ તેની જનતા માટે સામાજીક અને આર્થિક પરિવર્તનની દિશામાં વધુ ઝડપથી શરુઆત કરશે. વધુમાં રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે, નેપાળના સામાજીક અને આર્થિક વિકાસમાં ભારતનું હિત સમાયેલું છે. ઉપરાંત નેપાળ સાથેના સહયોગને ભારત વધુ મહત્વ આપે છે. બન્ને દેશોની મિત્રતા વર્ષો જૂની છે.