અભિનંદનની આપવીતીઃ પાકિસ્તાનીઓએ માનસિક રીતે હેરાન કર્યો હતો

નવી દિલ્હી– પાકિસ્તાન ભલે દાવો કર્યો હોય તે વિંગ કમાન્ડર અભિનંદન સાથે તેમણે સારો વર્તાવ કર્યો હતો, પણ તે ખોટી વાત છે. ખુદ વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ અટકાયત કરી તે દરમિયાન તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર આર્મી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન અભિનંદને જણાવ્યું હતું કે સેનાના જાપ્તામાં તેમને શારીરિક રીતે કોઈ ઈજા પહોંચાડવામાં આવી નથી, પણ માનસિક રીતે તેમને ખૂબ હેરાન કરવામાં આવ્યાં છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાને કેટલાય એવા પ્રોપેગેન્ડા વિડીયો જાહેર કર્યા હતા, જેમાં અભિનંદન ભારતીય મીડિયાની વિરુદ્ધમાં બોલી રહ્યા તેમ દેખાડ્યા છે. તે વિડીયો જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે, કે તેને એડિટ કરાયો છે, અને મોફર્ડ પણ કરાયો છે. હવે અભિનંદનને પોતો સાચી હકીકતો જણાવી છે. જેનાથી પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ જાહેર થયા છે.

શનિવારે આર્મી હોસ્પિટલમાં વિંગ કમાન્ડર અભિનંદનની સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ અને એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ મુલાકાત લીધી હતી. એટલું જ નહી હોસ્પિટલમાં ધનોઆએ વિંગ કમાન્ડરની સાથે એકલા ખુબ સમય સુધી વાતો કરી હતી. મેડિકલ ચેકઅપમાં પાયલોટ અભિનંદન પૂરી રીતે ફિટ જોવાયા છે. પણ તેઓ કુલિંગ ડાઉન પ્રોસેસથી પસાર થઈ રહ્યા છે. રવિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી શકે છે.

27 ફેબ્રુઆરીએ ભારતીય સરહદમાં ઘુસી આવેલા પાકિસ્તાન લડાકુ વિમાનનો પીછો કરતાં મિગ-21 ઉડાડતાં તેઓ સરહદ પાર કરી ગયાં હતાં. તે દરમિયાન તેમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું અને તેઓ પેરાશૂટથી નીચે ઉતર્યાં હતાં, અને પાકિસ્તાનના કબજામાં રહેલ કશ્મીરમાં ઉતર્યાં હતાં, ત્યાર બાદ પાકિસ્તાન સેનાએ તેમને કેદ કર્યાં હતાં.