નહીં ભૂલીએ, નહીં માફ કરીએ, પુલવામા આતંકી હુમલા પર CRPF…

અમદાવાદ– કશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થયાં છે, દેશમાં થયેલો સૌથી મોટો આતંકી હૂમલો છે, ત્યારે હાલ સમગ્ર દેશ ગુસ્સામાં છે, અને સરકારને કહી રહ્યો છે કે બદલો લો. જવાનોની શહીદી વ્યર્થ ન જવી જોઈએ. સીઆરપીએફના સત્તાવાર ટ્વીટ પર પણ સેનાનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

સીઆરપીએફએ પોતાના એકાઉન્ટમાં ટ્વીટ કર્યું છે કે અને કહ્યું છે કે ‘આપણે ભૂલીશું નહીં, આપણે ભૂલ માફ કરીશું નહીં, પુલવામા હુમલાના આપણા શહીદોને આપણે સલામ કરીએ છીએ અને આપણા શહીદ ભાઈઓના કુટુંબો સાથે ઊભા છીએ. આ આક્રમક હુમલાનો બદલો લેવામાં આવશે.’

આપને અત્રે યાદ અપાવીએ કે વડાપ્રધાન મોદીએ ઝાંસીમાં સભાને સંબોધન કરતા કહ્યું હતું કે સેનાને તમામ છૂટ આપી દેવામાં આવી છે. સ્થાન નક્કી કરવા, સમય નક્કી કરવાની અને સ્વરૂપની પસંદગી કરવાની મંજૂરી આપી દેવાઈ છે. અને જવાનોની શહીદી વ્યર્થ નહી જાય. આ જ ભાષામાં સીઆરપીએફ પણ બોલી રહ્યું છે.

સીઆરપીએફના ટ્વીટ પરથી એ વાત નક્કી છે કે ભારતની સેના પુલવામાનો બદલો ચોક્કસ લેશે. ઉરીનો બદલો સર્જિકલ સ્ટ્રાઈકથી લીધો હતો, તે પ્રમાણે પુલવામાનો બદલો કેવી રીતે લેવાય છે, તે સમય અને સ્થાન સેના નક્કી કરશે.